રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખીને રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા હોઈ હાલમાં ટેન્કરો દ્વારા પણ પીવાનું પાણી પૂરું પહોંચતું ના હોઈ સમસ્યા તાત્કાલિક દૂર કરવા જણાવ્યું છે. જો પીવાના પાણીની સમસ્યા તાત્કાલિક દૂર ના થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મુખ્યમંત્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, રાધનપુર-સાંતલપુર -સમી અને ચોરાડ વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે. ગામડાઓના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ચોરાડના લોકો ટેન્કરના ભરોસે ઉનાળો પસાર કરી રહ્યા છે.
ટેન્કરો દ્વારા લોકોને પીવાનું પાણી તાત્કાલિક પહોંચાડવામાં આવે. જે જગ્યાએ પીવાના પાણીની પાઈપલાઈનો ચોક-અપ થઇ ગયેલી છે તેને રીપેરીંગ કરીને તાત્કાલિક ચાલુ કરવી જોઈએ. પીવાના પાણીની તંગીને તાત્કાલિક દૂર કરવા ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું છે.
ધારાસભ્ય રઘુભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે, પીવાના પાણી માટે ગ્રામ્ય મહિલાઓને બેડા લઈને જ્યાં ત્યાં ભટકવું પડે છે. ટેન્કરો દ્વારા પણ લોકોને પીવાનું પાણી પૂરું પડતું નથી. ત્રણ તાલુકા ઉપરાંત ચોરાડમાં લોકોની હાલત કફોડી છે. સરકાર દ્વારા પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં નહી આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.