પાટણ જિલ્લા તલાટી મંડળ દ્વારા ધીણોજના તત્કાલિન તલાટીને વિકાસના કામોના મુદ્દે આપવામાં આવેલ ફરજ મોકુફનો હુકમ આગામી 24 કલાકમાં રદ કરવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ જો રદ કરવામાં નહીં આવે તો જિલ્લા તલાટી મંડળ દ્વારા અચોકકસ મુદતની હડતાળની ચીમકી સાથે રજૂઆત કરવામાં આવી છે.
ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે ઇન્દીરાનગર વિસ્તારમાં ડીસેમ્બર 2021માં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી 15મા નાણાપંચ હેઠળ મંજુર થઇ હતી. આ કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લેખીત અરજીના અનુસંધાને તા.28મી ફેબ્રુઆરીના રોજ તત્કાલીન તલાટી વી.કે .પટેલને ફરજ મોકુફનો હુકમ કરવામાં આવ્યો હતો જેને લઇ પાટણ જિલ્લા તલાટી મંડળમાં રોષની લાગણી વ્યાપી હતી ત્યારે આજે મંડળના પ્રમુખ સહિત અન્ય સભ્યોએ પાટણ જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
આવેદનપત્રમાં જણાવ્યાં મુજબ તત્કાલીન તલાટીની પુનઃ વિચારણાની અરજીને લઇ તેમને ફરજ પર પુનઃસ્થાપીત કરવામાં આવે. જો આગામી 24 કલાકમાં ફરજ મોકુફનો હુકમ રદ કરવામાં નહીં આવે તો પાટણ જિલ્લા તલાટી મંડળ દ્વારા અચોક્કસ મુદતની હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.