બાળકોના સ્વાસ્થ્ય માટે માતા કઈ પણ કરી જવા માટે તૈયાર હોય છે. કેમકે જ્યારે પોતાનું બાળક બિમાર પડે અથવા તો બાળકને વાગ્યું હોય તો સૌથી પહેલા મા બાળકના સ્વાસ્થ્યની ચિંતા કરતી હોય છે. ત્યારે પાટણના બ્રાહ્મણવાડામાં 700 વર્ષ જૂની એક પરંપરા ચાલી આવી રહી છે. જ્યાં બાળકના આજીવન નીરોગી સ્વાસ્થ્ય માટે માતા 1 કિલોમીટર લાંબી દોટ મૂકે છે. આ અનોખી પરંપરા છેલ્લા 700 વર્ષથી હોળીના દિવસે જ ઉજવવામાં આવે તેની માન્યતા છે. ત્યારે શું છે આ માન્યતા આવો વિગતવાર સમજીયે....
સોમવારે બપોરે હોળીના દિવસે આ દોડ યોજાઈ હતી
પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામે 700 વર્ષ જૂની પરંપરા ચાલતી આવી રહી છે. જ્યાં દર વર્ષની જેમ પ્રથમ પુત્ર હોય તેવી જનેતાનોની અનોખી દોડ લગાવવામાં આવે છે અને જે જનેતા તે દોડમાં પહેલી આવે તેનો પુત્ર આજીવન નીરોગી રહે તેવી માન્યતા છે. ત્યારે સોમવારે બપોરે હોળીના દિવસે આ દોડ યોજાઈ હતી. જ્યાં સોમવારે ખરા બપોર જનેતાઓએ પોતાના પુત્રની તંદુરસ્તી માટે ગામમાં ગોગા મહારાજના મંદિરથી ગામના કુળદેવી વેરાઈ માતાના મંદિર સુધી દોઢ કિલોમીટર ખુલ્લા પગે દોડ લગાવી હતી.
પરિવારની અન્ય મહિલાઓ પણ દોડમાં જોડાય છે
દોડ પૂર્વે ગોગા મહારાજના મંદિર ખાતે મહિલાઓ ગોગા મહારાજ દર્શન કરી આર્શીવાદ લે છે. ત્યારબાદ પૂજારી દ્વારા આ મહિલાઓના હાથ બાધી શ્રીફળ, સાંકળ અને ત્રિશુલ આપવામાં આવે છે. ત્યારબાદ માતાઓની દોડ શરૂ થાય છે. જેમાં માતા દોડતા દોડતા થાકી જાય છે તો કયાંક પડી જાય છે. તેમ છતાંય હિંમત હાર્યા વગર વેરાઈ માતાજીના મંદિરે પહોંચી પુત્રના સારા સ્વાસ્થ માટે માતાજીના આર્શીવાદ મેળવે છે. ગામના વસવાટ સમયથી આ પરંપરામાં માતાઓની સાથે સ્નેહીજનો અને પરિવારની અન્ય મહિલાઓ પણ દોડમાં જોડાય છે. જેમાં પ્રથમ આવનાર જનેતાનો પુત્ર આજીવન તદુંરસ્ત રહેતો હોય તેવી માન્યતાઓ છે. આ અનોખી દોડ જોવા ગામે ગામથી લોકો આવીને આ દોડનો આનંદ લે છે.
ત્યારબાદ ખજૂર વેચી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે
છેલ્લા 700 વર્ષથી આ પરંપરાગત ચાલી આવે છે. પરંપરા આજે પણ ગામમાં હર્ષોલ્લાસ સાથે ઊજવાય છે. કેમ કે, વડીલોની આ પરંપરા સાથે સંતાનના સારા સ્વાસ્થ્ય માટે આ પરંપરા જાળવી રાખી છે. ત્યારે બ્રાહ્મણવાડા ગામના મુકેશ ચોધારીએ જણાવ્યું હતું કે, વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. જે માતાને પ્રથમ પુત્ર હોય તે માતા પોતાના બાળક સ્વસ્થ અને નીરોગી રહે તે માટે દોડ લગાવે છે. ફાગણ સુદ બીજના દિવસથી મુહૂર્ત જોવડાવામાં આવે છે. ત્યારબાદ જે દિવસનું મુહૂર્ત હોય તે દિવસે 45 કિલો ધીની સુખડી બનાવવામાં આવે છે. આખા ગામમાં 400 ઘર આવેલા છે જ્યાં ઘરદીઠ 250 ગ્રામ સુખડી વેચવામાં આવે છે અને બાકીની મહેમાનોને આપવામાં આવે છે. ત્યારબાદ પુનમના દિવસે દોડ લગાવવામાં આવે છે. આ વર્ષે 9 માતાઓએ દોડ લગાવી હતી. ત્યારબાદ સાંજના સમયે આ દોડ પુરી થાય પછી હોળી પ્રગટાવવામાં આવે છે. જ્યાં દિકરાઓના કાકા તે બાળકને લઈને પ્રદક્ષિણા કરે છે. ત્યારબાદ ખજૂર વેચી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.
'મારો પ્રથમ નંબર આવ્યો છે'-ચૌધરી નેહલ
પ્રથમ અવરનાર મહિલા ચૌધરી નેહલ રાજકુમારે જણાવ્યું હતું કે, મારો પુત્ર આજીવન સ્વસ્થ અને નીરોગી રહે તે માટે મેં આજે દોડ લગાવી હતી. જેમાં મારો પ્રથમ નંબર આવ્યો છે. આ ગામમાં એવી પરંપરા છે જ્યાં બાળકના સારા સ્વાસ્થ્ય માટે માતા ગોગા મહારાજના મંદિરથી લઈને વેરાઈ માતાના મંદિર સુધી દોડ લગાવે છે. તેમના હાથમાં શ્રિફળ, ત્રિશુલ રાખીને દોડ લગાવે છે. ત્યારે આજની આ દોડમાં હું પ્રથમ આવી છું અને હું ભગવાનને પ્રાથના કરું છું કે મારા બાળકનું સ્વાસ્થ્ય સારુ રાખે સાથે દોડમાં ભાગ લેનારી તમામ માતાના બાળકના સ્વાસ્થ્યને પણ સારું રાખે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.