રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો ઘોષિત કરી દેવામાં આવ્યાં છે. જેને લઈ ઉમેદવારો દ્વારા પણ વિશાળ સમર્થકો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ચાણસ્મા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ઠાકોરે સમી પ્રાંત કચેરી ખાતે શુભ મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમજ હાલની પરિસ્થિતિ જોતા અને મતવિસ્તારના લોકોના મળી રહેલા સમર્થનને જોતા તેઓ 20 થી 25 હજાર મતોની લીડથી ચાણસ્મા વિધાનસભા બેઠક પર વિજય બનશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા માટે બે મિનિટનું મૌન પાળ્યું
ચાણસ્મા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પ્રાંત કચેરી સામે આયોજિત જંગી જાહેર સભાને સંબોધિત કરતા પૂર્વે તેઓએ મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા હતભાગીઓ માટે શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળ્યું હતું. તેમજ આગામી વિધાનસભાની બેઠક ઉપર પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરતા જંગી જનમેદનીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ભાજપના નેતાઓએ ચૂંટણી જીત્યા બાદ આ વિસ્તારમાં પાયાની સુવિધાઓ તેમજ ખેડૂતોના પ્રશ્નો બાબતે કોઈ કામ કર્યા નથી.
ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા
વધુમાં જણાવ્યું કે, આ વિસ્તારની પાયાની સુવિધાઓ, ખેડૂતોના પ્રશ્નોને લઈને જે પણ કરવું પડશે તે કરવા તેઓ તૈયારી છે. ચાણસ્મા વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસના પંજાને વિજય બનાવી ગુજરાતમાં બની રહેલી કોંગ્રેસ સરકારમાં કોંગ્રેસનો પંજો પણ પ્રસ્થાપિત બને તેવો હુંકાર કરી સૌના આશીર્વાદ મેળવી પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ચાણસ્મા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દિનેશજી ઠાકોરના ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમમાં તેમજ જાહેર સભામાં ચાણસ્મા મતવિસ્તારના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સમર્થકો અને મોટી સંખ્યામાં ચાણસ્મા મત વિસ્તારના મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.