પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા હિંદુઓના પવિત્ર યાત્રાધામ અંબાજી માતાના મંદિરમાં વહેંચવામાં આવતા મોહનથાળના પ્રસાદ બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને રજુઆત કરી છે. પાટણ ધારાસભ્ય દ્રારા કરવામાં આવેલ રજુઆત મા તેઓએ જણાવ્યું છે કે અંબાજી માતાના મંદિરમાં મળતો મોહનથાળનો પ્રસાદ એ માત્ર એક ગળી મીઠી વાનગી જ નથી જેને બીજી કોઇ ગળી વાનગીથી બદલી શકાય.
આ મોહનથાળનો પ્રસાદ પ્રાચીન કાળથી વહેંચવામાં આવે છે જેની સાથે હવે માતાજીના ભક્તોની શ્રધ્ધા સંકળાઈ ગઈ છે. વળી, આજના 21મી સદીના સમયમાં અને ફાસ્ટ ફૂડના જમાનામાં યુવા પેઢી આપણી સંસ્કૃતિની ઓળખ સમી મિઠાઇઓ ભૂલવા લાગ્યા છે ત્યારે આ મોહનથાળ જેવી પરંપરાગત મિઠાઇ પ્રસાદના સ્વરૂપે આબાલ વૃધ્ધ સૌમાં ખૂબ લોકપ્રિય છે. આ પરંપરાગત મિઠાઇ સાથે માતાજી ના આશીર્વાદ જ છે જે આટલા મોટા જથ્થામાં બનતી હોવા છતાં ક્યારેય એ ખૂટી નથી કે બગડી પણ નથી.
મોહનથાળ એ હવે અંબા મા ની ઓળખ બની ગયો છે ત્યારે એ પ્રસાદની જગ્યા કોઇ પ્રાઇવેટ કમ્પનીમાં બનતી ચીકી ન જ લઇ શકાય માટે આ રજુઆત ને ધ્યાને લઇ મોહનથાળનો પ્રસાદ અંબાજીમાં ચાલુ રાખવા અને માતાજીના ભક્તોની શ્રધ્ધા અકબંધ રાખવા તેઓ દ્રારા રજુઆત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.