પાટણ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં કલેક્ટર સુપ્રીતસિઘ ગુલાટીએ અંતરિયાળ સાંતલપુર-રાધનપુર પંથકમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તંત્રના અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા ચકાસવા જિલ્લા શિક્ષણાધિકારી તેમજ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને સૂચના આપી હતી.
જિલ્લા સંકલન સમિતિની મિટિંગમાં રાધનપુર શહેરમાં ઘન કચરાનો નિકાલ, સાંતલપુર તાલુકાના ગામોમાં પીવાના પાણીની સમસ્યા, પાટણ શહેરમાં આવેલી સિવિલમાં પીવાના પાણીનો પ્રશ્ન વગેરે બાબતો પર જિલ્લા કલેક્ટરે સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ઉનાળાની શરૂઆત થતાં રાધનપુર અને સાંતલપુર તાલુકા તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે આ પ્રકારે વ્યવસ્થા કરવા માટે કલેક્ટરે એ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
ઉપરાંત જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા ચકાસવા માટે જિલ્લા શિક્ષણાધિકારી તેમજ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને સૂચના આપી હતી. જિલ્લાની દરેક કચેરીમાં સંસદસભ્ય અને ધારાસભ્યોના પ્રશ્નોના રજિસ્ટર નિભાવવા બાબતે તેમજ સંકલન સમિતિ માટેના પત્રકો નિયત સમયમાં મોકલી આપવા નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડે અધિકારીઓને જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલ, મદદનીશ કલેક્ટર સચિન કુમાર, વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.