"મને ભગવાને 50 ટકા મોકલ્યો હતો અને આ વ્યાજખોરોએ મને 30 ટકા કરી દીધો છે. વ્યાજખોરોએ મને માર મારીને મારા હાથ-પગ ભાંગી નાખ્યા છે. આજે મારા હાથ-પગ કામ નથી કરી રહ્યાં. મને અને મારા પરિવારે સતત એક ડરમાં જીવવું પડે છે." આ શબ્દો છે વ્યાજખોરોથી પીડિત વ્યક્તિના. આ શબ્દો સાંભળીને આજરોજ આયોજીત લોકદરબારમાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. નાગરિકની રજૂઆત સાંભળીને પાટણ જિલ્લાના પોલસ વડા વિજય પટેલે તરત જ ભોગ બનનાર વ્યક્તિને આધાર પુરાવાઓ રજૂ કરવા માટે કહ્યું અને તેમને પરેશાન કરતા વ્યાજખોરો વિરુદ્ધ પગલા લેવાનું વચન આપ્યું.
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કાર્યક્રમનું આયોજન
રાજ્ય સરકારની સૂચનાથી દરેક જિલ્લામાં લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ-2011 અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા લોકદરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વધી રહેલી વ્યાજખોરીને ડામવા માટે આયોજીત આજના લોકદરબારમાં જાહેર જનતાએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, તેમજ વ્યાજખોરીની આ સામાજીક દૂષણરૂપી પ્રવૃતિને નાથવા માટે યોગ્ય સુચનો પણ કર્યા હતા. જે વ્યક્તિ જાહેરમાં પ્રશ્નો રજૂ ના કરી શકે તેવા લોકો ખાનગીમાં પોલીસ સ્ટેશન જઈને પ્રશ્નો રજૂ કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં નિકાલ લાવશે
લોકદરબારના અધ્યક્ષ એવા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલિયાએ પાટણની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, વ્યાજખોરોને ડામવા માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે, પરંતુ સાથે-સાથે જનતાએ આ સામાજીક દુષણને ડામવા માટે પોલીસને સાથ સહકાર આપવાની જરૂર છે. જનતા પોતે આગળ આવે અને વ્યાજખોરો વિરુદ્ધ અવાજ ઉઠાવે તો અમે જનતાનો અવાજ બનીશુ. વ્યાજખોરીને ડામવા માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા લોકદરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજના કાર્યક્રમમાં જનતાએ જે પ્રશ્નો રજૂ કર્યા છે તે પ્રશ્નો પર ચોક્કસપણે કામ કરવામાં આવશે. તદઉપરાંત આજના લોકદરબારમાં લોકોએ જે સૂચનો કર્યા છે, તે સુચનો પર પણ ધ્યાન આપવામાં આવશે. હું રેન્જ આઈ.જી તરીકે સર્વેને આશ્વાસન આપુ છું કે તમામ પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં નિકાલ લાવવામાં આવશે. પાટણની જનતાને અપીલ છે કે, આપની પાસેથી જો વધારે વ્યાજ લેવાય છે તો તરત જ આધાર પુરાવાઓ સાથે પોલીસને રજૂઆત કરો.
કોઈપણ જાતનો ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરો
પાટણ જિલ્લાના પોલીસ વડા વિજય પટેલે લોકદરબાર અંતર્ગત લોકોને કાયદાકીય સલાહ આપવાથી લઈને તેઓને સરકારની વિવિધ યોજનાઓથી પણ વાકેફ કરવામાં આવશે. વ્યાજખોરી એક સામાજીક દુષણ છે અને તેને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. જનતા ફરિયાદ લઈને પોલીસ પાસે આવે છે, પરંતુ આજે અમે ખુદ આપની પાસે આપના પ્રશ્નો સાંભળવા આવ્યા છીએ. હું દરેક લોકોને અપીલ કરું છુ કે, કોઈ પણ જાતની સમસ્યા હોય, તો તરત જ કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરો જેથી પોલીસ આપની મદદ કરી શકે.
લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલિયા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, પાટણ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકઓ, જિલ્લા પોલીસ મથકનાં પોલીસ ઇન્સપેક્ટરશ્રીઓ, જિલ્લા ઉદ્યોગ અધિકારી વિજય ચૌધરી, બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક સિનિયર મેનેજર સુધીર સીતારમન તેમજ વિવિધ પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને બહોળી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.