ઉત્તરાયણ એટલે હિન્દુઓનો તહેવાર.. આ તહેવારમાં પતંગનું વિશેષ મહત્ત્વ હોય છે. નાના ભૂલકાંથી માંડીને મોટેરા સુધી પતંગનું અનેરું ઘેલું હોય છે. જોકે આજ પતંગ અન્ય ધર્મના લોકો માટે પણ રોજગારીનું માધ્યમ બન્યું છે. પાટણમાં મુસ્લિમ પરિવારો વર્ષે 15થી 20 લાખ પતંગો બનાવીને રોજગારી મેળવે છે. ત્યારે આ અહેવાલમાં જોઇએ કે કેવી રીતે આંગળીના ટેરવે પતંગ બનાવી મુસ્લિમ પરિવારો પોતાની આગવી કલાથી વિવિધ પ્રકારની પતંગો બનાવે છે.
કોલકાતાથી વાંસની સળીઓ મગાવાય છે
પાટણ શહેરમાં નીલમ સિનેમા પાસે રહેતા શેખ મહંમદ આસિફના પરિવાર સહિત 20થી 25 કારીગરો મળી વર્ષમાં 15થી 20 લાખ જેટલી પતંગો બનાવે છે. એક દિવસમાં આ પરિવારો અંદાજિત 2 હજારથી 4 હજાર પતંગો તૈયાર કરે છે અને ગુજરાતભરમાં ઓર્ડર પ્રમાણે મોકલાવે છે. આ પરિવાર પતંગ બનાવવા ખાસ કરીને કોલકાતાથી વાંસની સળીઓ મગાવે છે તેમજ ખાસ પ્રકારના પોલિથીનના કાગળો અમદાવાદની ફેકટરીઓમાંથી મગાવીને અવનવી ડિઝાઈનોવાળી પતંગો બનાવે છે.
ઉત્તરાયણ બાદ ફેબ્રુઆરીથી જ પતંગ બનાવવાની કામગીરી શરૂ
પતંગ બનાવનાર મહંમદ આસિફ શેખે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ઉત્તરાયણ બાદ ફેબ્રુઆરીમાં પતંગ બનાવવાનું શરૂ કરીએ છીએ. અમારા સમાજની મહિલાઓને રોજીરોટી મળે અને અમારું પણ કામ થાય એ માટે ઘરે ઘરે મહિલાઓને 20થી 25 હજાર પતંગ બનાવવા આપીએ છીએ. આ લોકોને જેવું કામ એ પ્રમાણે અલગ અલગ 1000 પતંગની કામગીરી માટે રૂપિયા 45થી 100 સુધી અપાવામાં આવે છે. પતંગ બનાવનાર નસીબબાનુએ જણાવ્યું હતું કે અમારા ઘરે પતંગનો કાચો માલ આપી જાય છે. અમે દિવસ દરમિયાન 2 હજારથી લઈ 4 હજાર જેટલી પતંગો બનાવીએ છીએ, જેટલું વધારે બેસીએ એટલી વધારે પતંગ બને છે.
કેવી રીતે તૈયાર થાય છે પતંગ?
5 જગ્યા પર ગયા પછી એક પતંગ તૈયાર થાય છે, જેમાં સૌપ્રથમ પતંગના આકાર માટે એના બીબામાં પોલિથીનના કાગળો કાપીને ચોરસ આકાર આપવામાં આવે છે. ત્યાર બાદ વચ્ચે સળી લગાવવામાં આવે છે, પછી ઉપરની કમાન લગાવવામાં આવે છે અને લાસ્ટમાં પૂંછડી લાગવામાં આવે છે. પાટણ શહેરમાં બનતી પતંગ અમદાવાદ, પાલનપુર, મહેસાણા સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વેચાણ માટે જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.