અષાઢી બીજે પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાના સાત કિલોમીટર જેટલા લાંબા રૂટ પર તૂટી ગયેલા રસ્તાનું રિપેરિંગ કરવા માટે પાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે. અને તે કામ શરૂ કરવા માટે કન્સ્ટ્રકશન કંપનીને વર્ક ઓર્ડર પણ આપ્યો હતો.
કોરોનાની વૈશ્વિક મહામારી બાદ પાટણ શહેરના પ્રસિદ્ધ શ્રી જગદીશ મંદિર પરિસર ખાતે અષાઢી બીજના પવિત્ર પર્વને ભક્તિમય અને હર્ષોલ્લાસ પૂર્ણ રીતે ઉજવવા માટે શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર સહિત શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત 140મી રથયાત્રાનાં આયોજનની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે રથયાત્રાનાં માર્ગ પર રથયાત્રા દરમિયાન કોઈ અડચણ ઉભી ન થાય તે માટે અને કાયદો વ્યવસ્થા જળવાઈ તે માટે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય દ્વારા જિલ્લા પોલીસ વડા સહિત પાટણ નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.
ઉપરોક્ત રજુઆતનાં પગલે ગુરૂવારના રોજ પાટણ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર સહિત કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન શાંતીબેન ગીરીશભાઈ પટેલ, પક્ષના નેતા દેવચંદભાઇ પટેલ દ્વારા તાત્કાલિક બેઠક યોજી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માગૅનું સંપૂર્ણ પણે પેચ વકૅનું કામ હાથ ધરવા માટેનો નિર્ણય લીધો હતો અને નાગોરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને પાલિકા ખાતે વકૅ ઓડૅર આપ્યો હતો. પાલિકા બાંધકામ સમિતિના ચેરમેન સહિત પાલિકાના કોર્પોરેટર ગોપાલ સિંહ રાજપૂત સહિતની ટીમ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી મંદિર પરિસરથી રાજ માર્ગ પરથી રથયાત્રા પસાર થવાની છે તે તમામ માર્ગનું નિરિક્ષણ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.