પાટણ શહેરનાં ચાણસ્મા હાઇવે ઉપર પદ્મવિહાર ચાર રસ્તા નજીક આવેલી પદ્મવિહાર સોસાયટીમાં ઘર નં.13માં આજે વહેલી પરોઢે કોઇ તસ્કરોએ ત્રાટકીને તિજોરીમાંથી રૂા. 97 હજારના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. આ અંગે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
પદ્મવિહાર સોસાયટીમાં 13 નંબરના મકાનમાં રહેતા અને બનાસકાંઠાના ડીસા તાલુકાનાં સવણીપુરા ગામે પ્રાથમિક શાળામાં નોકરી કરતા યોગેશ કેશુભાઈ પ્રજાપતિ (ઉ.વ.46) તથા તેમનાં પત્ની વર્ષાબેન અને દીકરી ડિમ્પલ તથા દીકરો ત્યોમ તા. 23મીનાં રોજ રાત્રે પોણા અગીયાર વાગે ઘરનાં દરવાજાને લોક મારી ધાબે સુવા ગયા હતા.
વહેલી પરોઢે સાડાત્રણ વાગે તેમની દીકરી વોશરૂમ જવા ઉઠી ત્યારે તાળુ ખોલીને તે વોશરુમ જઇને દરવાજો લોક કરીને પરત ધાબે આવીને સુઇ ગઇ હતી. પછી સવારે સાડા પાંચ વાગે યોગેશભાઇ ઉઠીને નીચે ગયા ત્યારે તેમને દરવાજાનું લોક તુટેલું જણાવ્યું હતું. તેઓએ ઘરમાં જઈને જોયું તો તેમનાં ઘરનાં બેડરુમની તિજોરી ખુલ્લી હતી ને તિજારોમાં મુકેલો બધો સામાન બેડ પર વેરવિખેર હતો.
તેઓએ તપાસ કરતાં તિજોરીમાંથી રૂ. 40 હજારની સોનાની સવા તોલાની ચેન, રૂ. 15 હજારની સોનાની પાંચ ગ્રામની બુટ્ટી જોડ-2, સોનાની રૂ. 4 હજારની ચૂંક નંગ-4, ચાંદીની બે નંગ પાયલ કિં. રૂ. 5 હજાર મળી કુલ રૂ. 97 હજારની મતાની ચોરી થયાની જાણ થઇ હતી. આ બનાવ અંગે તેમણે બી-ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.