પાટણ જિલ્લામાં સમાવિષ્ટ 8 તાલુકાઓમાં છેલ્લા ૪-૪ માસથી મફતગાળા પ્લોટની આશરે 50 કરતાં વધુ પડતર અરજીઓ નિકાલ કરવા લેન્ડ કમિટી બોલાવવામાં નહીં આવતાં મકાન વિહોણા અરજદારો રાહ જોઈ રહ્યાં છે. ચાણસ્મા તાલુકાના મીઠીઘારીયાલ ગામે 6 સભ્યોના પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના નીચે મકાન સહાય મંજૂર કરી હતી. માલિકીનો પ્લોટ ન હોવાથી પ્લોટ મેળવવા આજે પણ ચાણસ્મા કચેરીએ આંટાફેરા કરી રહ્યાં છે .
પાટણ જિલ્લામાં જરુરમંદ અને ઘરવિહોણા પ્લોટ ન ધરાવતાં હોય તેવા આશરે ૫૦ કરતાં વધારે અરજદારોએ પોતાનાં સાધનિક કાગળો સાથે જે- તે તાલુકા કક્ષાએ અરજી કરેલ છે અને સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમજ અન્ય આવાસ યોજના નીચે આવા અરજદારોને મકાન બાંધકામના 3 તબક્કામાં રૂ.૧.૫૦,૦૦૦ની સહાય ચુકવાય છે.
અરજદારોની અરજીઓ જરૂરી તપાસણીને અંતે જે-તે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાએ જરૂરી અભિપ્રાય સાથે મોકલી તેને ઘણો સમય વીતી ગયો હોવાં છતાં પાટણ પ્રાંત કચેરી દ્વારા અરજીઓનો નિકાલ કરવાં લેન્ડ કમિટી બોલાવવામાં ખો અપાઈ રહી છે. પરિણામે પ્લોટ વિહોણા અરજદારો રોજબરોજ તાલુકા કક્ષાએ અરજીનો નિકાલ કરવાં માટે ચક્કર કાપી રહ્યા છે.
મફતગાળાનાં પ્લોટ મેળવવા અરજદાર ધક્કા
મીઠીઘારીયાલનાં અરજદાર ઠાકોર દિવાનજી આત્મારામ ૬ સભ્યોના પરિવાર સાથે પણ ભાડાનાં મકાનમાં રહે છે .જેમને વર્ષ ૨૦૨૧-૨૨માં પ્રધાનમંત્રી આવાસ યોજના નીચે મકાન સહાય મંજૂર કરી હતી .માલિકીનો પ્લોટ ન હોવાથી પ્લોટ મેળવવા આજે પણ ચાણસ્મા કચેરીએ આંટાફેરા કરી રહ્યાં છે તેમ છતાં લેન્ડ કમિટી ન મળતાં તેમનો પરિવાર નિશાસા નાખી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.