હાલોલ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પાર્લામેન્ટ્રી બોર્ડ કોના નામ ઉપર મહોર મારશે એની આતુરતાનો આજે અંત આવ્યો હતો. આજે અત્રેની બેઠક ઉપર સતત ચાર ટર્મથી ભાજપનું નેતૃત્વ કરનાર જયદ્રથસિંહ પરમારના નામની જાહેરાત થતાં જ ભાજપમાં 'કહી ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો હતો.
ભાજપમાં ટિકિટને લઈને અંદરો અંદર જ અણગમો
હાલોલ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જયદ્રથસિંહ પરમારના નામનું જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં હાલોલ ભાજપમાં છેલ્લા એક વર્ષથી ઉભી થયેલી જુઠબંધી આ બેઠક ઉપર ઉમેદવાર તરીકે જયદ્રથસિંહ પરમારના નામની જાહેરાત થતાં જ વધુ આક્રમકતાથી સામે આવી છે અને ભાજપના જ જુના કાર્યકરોની અવગણના અને વિકાસના કામો થતાં નહીં હોવાથી વિરોધ ઉભો થયો છે. ભાજપને કોઈ ઓળખતું ન હતું, ત્યારે પાર્ટી માટે કામ કરનારા કાર્યકરો પોતે ભાજપનો વિરોધ કરતા દુઃખ વ્યક્ત કરી રહ્યા હોવાનું જણાવ્યું. અને કહ્યું જો પાર્ટી પાસે હજી સમય છે, હાલોલ બેઠક ઉપર જયદ્રથસિંહ પરમાર સિવાય અન્ય કોઈને પણ ટીકીટ આપવામાં આવે તો, સૌ સાથે મળીને મહેનત કરીશું. નહીં તો પાર્ટીને જ નુકશાન થશે.
જયદ્રથસિંહ પરમારના નામ ઉપર મહોર મારવામાં આવી
ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજે જાહેર કરવામાં આવેલી યાદીમાં હાલોલ વિધાનસભા બેઠક ઉપર જયદ્રથસિંહ પરમારના નામ ઉપર મહોર મારવામાં આવી છે. સતત ચાર ટર્મથી અહીં ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે વિજેતા થનાર જયદ્રથસિંહ પરમારને 2007ની વિધાનસભા ચૂંટણી જીત્યા પછી અન્ન અને નાગરિક પુરવઠાના સંસદીય સચિવનો હવાલો આપવામાં આવ્યો હતો. 2012ની વિધાનસભા ચૂંટણી લડ્યા પછી તેઓને માર્ગ અને મકાન વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેવી જ રીતે 2017માં પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું અને મોટા માર્જિનથી જીત મેળવ્યા પછી તેઓને કૃષિ અને પંચાયત મંત્રી તરીકેનો ચાર્જ મળ્યો હતો અને પર્યાવરણ વિભાગનો સ્વતંત્ર હવાલો પણ તેઓને આપવામાં આવ્યો હતો.
પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જયદ્રસિંહ પરમારના નામની જાહેરાત
હાલોલ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા બે વર્ષથી જે રીતે જૂથબંધી સામે આવી હતી. તે રીતે આ બેઠક ઉપર જયદ્રથસિંહ પરમારની ટિકિટ કપાય તેવી અનેક અટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ ફરીથી એક વખત ભારતીય જનતા પાર્ટીએ જયદ્રથસિંહ પરમાર ઉપર વિશ્વાસ મૂક્યો છે. પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જયદ્રસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ જયદ્રથસિંહ પરમારના ગામ કંજરી ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા અને ફટાકડા ફોડીને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ જયદ્રથસિંહ પોતાના પરિવાર સાથે નારાયણ ધામ તાજપુરા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમને બ્રહ્મલીન નારાયણ બાપુના દંડવત પ્રણામ કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા.
જયદ્રથસિંહ પરમારને વિજય માટેની શુભેચ્છાઓ પાઠવાઈ
હાલોલ ભાજપ કાર્યાલય ખાતે પણ મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા હતા અને જયદ્રથસિંહ પરમારને વિજય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. તો, અત્રે પત્રકારોને સંબોધતા તેઓએ જણાવ્યું કે, છેલ્લા ચાર ટર્મથી જે રીતે હાલોલ મતવિસ્તારની જનતાનો જે રીતે સહકાર મળ્યો છે. તે જ રીતે મને સહકાર મળતો રહેશે અને આજે તેઓ કઈપણ છે તે હાલોલ વિધાનસભા મત વિસ્તારના મતદારોને કારણે છે. છેલ્લા 25 વર્ષમાં હાલોલનો જે વિકાસ થયો છે તે ભારતીય જનતા પાર્ટીને સરકારને આભારી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.