પાવાગઢ ખાતે 22મી માર્ચથી ચૈત્રિ નવરાત્રીના તહેવાર દરમ્યાન માતાજીના દર્શન કરવા આવતા દર્શનાર્થીઓની સુવિધા માટે એસ.ટી.વિભાગ ગોધરા દ્વારા તા.22મી માર્ચથી તા.06 એપ્રિલ દરમ્યાન વધારાની 60 બસો ફાળવવામાં આવી છે. નવરાત્રી દરમ્યાન અહીં દરરોજ લાખો માઈ ભક્તો માતાજીના દર્શને આવતા હોવાથી અને ખાનગી વાહનો તળેટીમાંથી બંધ કરાવી દેવામાં આવતા હોવાથી એસટી બસના વધારાના રૂટ દિવસ દરમ્યાન સતત ચાલુ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ બસ સેવાના સુચારુ આયોજન માટે એસ.ટી વિભાગના 250 જેટલા કર્મચારીઓને રાઉન્ડ ધી કલોક ફરજો સોપવામાં આવી છે. તથા સ્થળ ઉપર મંડપ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બસમાં બેસવા માટે લાઈન દોરી સહિતની વ્યવસ્થા ઉભી કરવા અંગે સૂચનો કરવામાં આવ્યા છે. આ બાબતે મુસાફરોને કોઈ પણ જાતની મુશ્કેલી થવા ન પામે તે માટે વિભાગના વિવિધ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધી ક્લોક હાજર રહી સતત મોનીટરીંગ કરવામાં આવશે. ગોધરા એસટી વિભાગ દ્વારા ઉભી કરવામાં આવેલી આ સુચારુ વ્યવસ્થાનો સર્વ ધર્મપ્રેમી જનતા લાભ લે તે માટે એસટી વિભાગીય નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.