થરાદની ખોડા ચેકપોસ્ટ પાસેથી શુક્રવારે રાત્રે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કતલખાને લઇ જવાતા 38 અબોલ પશુઓને બચાવી લઇ નવજીવન બક્ષ્યું હતું. તેમજ તેને લઇ જઇ રહેલા ડીસાના બે શખ્સો સામે પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવાનાં કાયદાની કલમની જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદ પોલીસ મથકના કર્મચારીઓ શુક્રવારે રાત્રે ખોડા ચેકપોસ્ટે વાહન ચેકિંગમાં હતા. આ વખતે સાંચોર તરફથી મીની ટ્રક નંબર જીજે-24-એક્સ-3467 આવતાં તેને સાઈડમાં કરાવી પાછળના ભાગે જતાં તેમાંથી પશુઓનો અવાજ આવતો હતો. આથી ટ્રકમાં બેઠેલા બે શખ્સો અરબાજ ગુલામ્રબાની કુરેશી તથા નવાજ જાકીરભાઇ કુરેશી (બંન્ને રહે.અમનપાર્ક, રાજપુર રોડ, ડીસા) ની અટકાયત કરી ટ્રકમાં વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન તેમાં 38 નંગ જીવતા પાડાઓ ખીચોખીચ ભરેલા હતા.પાડાઓ કતલખાને લઇ જવાતા હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે 38 પાડાઓ, પાંચ લાખની ટ્રક, બે મોબાઇલ રૂ.10,000 તથા 2750 રોકડ મળી કુલ રૂ.5,50,750 નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ ચાલક તથા ક્લીનર બંને સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ઉંદરાણાની સીમમાંથી કતલખાને લઇ જવાતાં 36 ઘેટાં બચાવી પાંજરાપોળ મોકલી અપાયા
શુક્રવારની રાત્રિના નવ વાગ્યાના સુમારે દિલાવરસિંહ રતનસિંહ રાઠોડ (દરબાર) (રહે.ભોરડુ સીમ),દશરતનાથ ગોરખનાથ ગૌસ્વામી, રામજીભાઇ માનસેંગભાઇ પટેલ, હરચંદભાઇ સગથાભાઇ ચૈાહાણ તથા ચેહરાભાઇ નાનજીભાઇ પટેલ (તમામ રહે.ઉંદરાણા) ગામની ડેરી આગળ ઉભેલા હતા.આ વખતે ઇશ્વરભાઇ શિવરામભાઇ ચૌધરીનેનાનોલથી ઉંદરાણા તરફ એક પીકઅપ ડાલું ઘેટાં ભરીને આવતું હોવાની બાતમી મળી હતી.
આથી તેમણે આવેલ આરજે-18-જીબી-5957 નંબરના જીપડાલાને રોકાવી તેમાં બેઠેલ શખસોની પુછતાછ કરતાં ત્રણ પૈકી ચાલકે પોતાનું નામ કૈલાશકુમાર કાશીરામ ગુજર્ર (રબારી) તથા અન્ય બે એ સુલતાન મુનસીરામ વણઝારા તથા હરીસિંહ સુલતાન વણઝારા (તમામ રહે.રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. જીપડાલામાં રહેલાં 36 અબોલ જીવોને પોલીસને સોંપ્યાં હતાં. પોલીસે રૂ. 57,000 ના અબોલ જીવો કબજે લઇ જાળવણી અર્થે નજીકની પાંજરાપોળમાં મોકલી ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.