થરાદ પાલિકાએ ફાળવેલી જગ્યામાં ભારત વિકાસ પરિષદ દ્વારા દાતાઓના સહયોગથી બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે.સાંસદના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. થરાદ નગરની પ્રજાને દિવસે અને રાત્રે પણ સહ પરિવાર હરીફરી શકાય તેવા રમણીય અને સુંદર પ્રથમ સ્થળની ભેટ મળશે.
થરાદ ભારત વિકાસ પરિષદના પ્રમુખ નરસિંહભાઈ ચૌધરી, મંત્રી વિપુલભાઈ ચૌધરી તથા બીપીનભાઈ રાવ અને નવા પ્રમુખ જયદીપભાઈ સોની સહિત પરિષદના સદસ્યોએ સાથે મળીને નગરમાં આવેલા શ્રીહડકમાઈ માતાજીના મંદિરે બગીચો બનાવવાનું ભગીરથ આયોજન હાથ ધર્યું હતું. જેમાં દાતાઓના માતબર રકમના સહયોગથી અંદાજિત આઠેક લાખ રૂપિયાના ખર્ચથી બગીચાનું નિર્માણ કર્યું હતું. જેને આજે શુક્રવારે રાત્રે લોકાર્પણ કરી બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે નગરજનોને ભેટ કરવામાં આવનાર છે.
આ અંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ નરસિહભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા જગ્યા ઉપરાંત લાઇટિંગ અને પેવર બ્લોકની કામગીરી કરી આપવામાં આવી હતી. જ્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા ચાર ફૂટ ઉંડો ખાડો પુરવા સવા લાખ રૂપિયાની માટી નાંખાવામાં આવી હતી. તદુપરાંત લોન, બાંકડા, બાળકો માટે હિંચકા,લપસણી, ચગડોળ જેવા એક લાખ રૂપિયાના સાધનોની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેનું નામ બિવીપી ગાર્ડન રાખવામાં આવ્યું છે. થરાદ નગરમાં ફરવાલાયક બગીચો કે બાળકો રમી શકે તેવું બાળક્રિડાંગણ નહીં હોવાથી શહેરીજનોને ફરવા લાયક પ્રથમ સ્થળ બની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.