પાલનપુરના જગાણા ગામે હાઇવેથી ગામ તરફ જતા બનાવેલા પુલ પર ચડતા અને ઉતરતા બંને તરફ પુલ ઉપરનો માર્ગ અને ડિવાઇડર વચ્ચે નજીવું અંતર રાખવામાં આવ્યું હોઇ મોટા વાહનો સાઇડ લેતી વખતે અન્ય વાહનોને અડફેટે લેતા હોઇ અકસ્માતની હારમાળા સર્જાઇ રહી છે. અત્યાર સુધીમાં 5થી વધુ લોકોએ જીવનથી હાથ ધોયા છે. જ્યારે સંખ્યાબંધને ઇજાઓ થઈ છે. આ અકસ્માતો પાછળ તંત્રની બેદરકારી જવાબદાર હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
ગામના રતીભાઈ, મોતીભાઈ જૂઆ, હેમરાજ કુણીયા અને ગણેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે, પુલ ઉપરનો માર્ગ અને ડિવાઇડર વચ્ચે નજીવું અંતર રાખ્યું હોઇ મોટા વાહનો સાઇડ લેતી વખતે અન્ય વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાય છે. જ્યાં આજુબાજુના 10 થી 12 ગામના વાહનચાલકો પુલ ઉપરથી પસાર થાય છે. અને મોટાભાગે બનાસ ડેરીના ટ્રકો દૂધ લઈને પસાર થાય છે.ત્યારે ડિવાઇડર તોડી પહોળી જગ્યા કરવા અને બમ્પ મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જગાણામાં પૂલ ઉતરતા કારના બંને ટાયર નીકળી ગયા
જગાણામાં ગત રાત્રિએ હિન્દી ભાષી કારચાલક પૂલ ઉતરતા જ ડિવાઇડર પર ટકરાતા કારના આગળના બંને ટાયર નીકળી ગયા હતા.ગ્રામજનોએ કારચાલકને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જગાણાના રહીશોએ જણાવ્યું હતું કે "વળાંકમાં ઢાળ વધુ પડતો આપ્યો હોવાથી વાહન ઉતરતી વખતે કંટ્રોલ રહેતો નથી અને અવારનવાર અકસ્માતો સર્જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.