બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક આવેલું જેસોર અભયારણ્ય પ્રકૃતિની સોળે ખીલેલું રહે છે, જેને લોકો રીંછના અભયારણ્ય તરીકે પણ ઓળખે છે. જેસોર અભયારણ્ય ગુજરાતનું બીજા નંબરનું મોટામાં મોટું અભયારણ્ય છે, જેના પર્વતીય વિસ્તારમાં દેવાધિદેવ મહાદેવ પણ બિરાજમાન છે.
બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ગામ નજીક આવેલું જેસોર વન્યજીવ અભયારણ્ય ઈ.સ. 1978માં વન્ય જીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં રીંછની વસતિગણતરી પ્રમાણે આ અભયારણ્યમાં રીંછની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી આ અભયારણ્યને રીંછ અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે.
અભયારણ્યનો 20% વિસ્તાર રાજસ્થાનમાં
અભયારણ્યના વિસ્તારની વાત કરીએ તો આ અભયારણ્ય કુલ 180 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયયેલું છે. એમાં અભયારણ્યનો 20% વિસ્તાર રાજસ્થાનમાં છે તો 80% વિસ્તાર ગુજરાતમાં આવેલો છે. એમાં મોટા પ્રમાણમાં પર્વતીય વિસ્તાર આવેલો છે અને એમાંય પર્વત સમગ્ર રાજ્યમાં બીજા નંબરનો ઊંચામાં ઊંચો પર્વત છે. જોકે આ અભયારણ્યને હંમેશાં હરિયાળું રાખવા સરકાર સહિત અનેક સંસ્થાઓ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે અભયારણ્ય એક પર્યટક સ્થળ બને અને અહીં આવતા લોકો વન્ય પ્રકૃતિથી વાકેફ થાય એ હેતુસર સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ અભયારણ્યને પર્યટક સ્થળ બનાવવા અનેક વિકાસકાર્યોની શરૂઆત કરાઈ છે, જેને લઇ આ જંગલ ફક્ત જંગલ જ નહીં, પરંતુ જોવાલાયક સ્થળ બની ગયું છે.
અભયારણ્યમાં મહાદેવનું મંદિર પણ છે
પ્રકૃતિની સાથે સાથે આ અભયારણ્ય પર્વત પર દેવોના દેવ મહાદેવનું કેદારનાથ મંદિર પણ આવેલું છે. એને લઇ આ અભયારણ્ય ફક્ત પ્રાકૃતિક જ નહીં, પરંતુ ધાર્મિક લાગણીઓથી પણ જોડાયેલું છે, જેને લઇ શનિ અને રવિવારે આ અભયારણ્યમાં લોકોનો ધસારો મોટા પ્રમાણમાં રહે છે અને કેદારનાથ મહાદેવના દર્શનાર્થે આવતા ભક્તો પણ જેસોર અભયારણ્યને નિહાળવાનો લહોવો છોડતા નથી.
અભયારણ્યમાં 80 કરતાં વધુ રીંછ
રીંછ અભયારણ્ય તરીકે ઓળખાતા જેસોર અભયારણ્યમાં રીંછોની સંખ્યાની વાત કરીએ તો છેલ્લી ગણતરી મુજબ અહીં 80 જેટલા રીંછ વસવાટ કરતા હતાં. જોકે તાજેતરમાં એની સંખ્યામાં વધારો થયો છે. રીંછ પોતાની ભૂખ કે તરસ સંતોષવા રહેણાક વિસ્તારમાં ન ઘુસી જાય એને લઈ બારેમાસ અહીં સીઝન પ્રમાણે એને ખોરાક પૂરો પાડવા અલગ અલગ પ્રકારનાં વૃક્ષો રોપવામાં આવ્યાં છે. પાણીની વ્યવસ્થા માટે પણ અનેક કુંડ તેમજ પવનચક્કીનો ઉપયોગથી ગડર ડોલમાં પાણી ભરી વન્ય જીવોને પૂરું પાડવામાં આવી રહ્યું છે.
પર્વતની ગિરિમાળાઓ વચ્ચે એક મોટું તળાવ
બીજી તરફ, જંગલમાં પાણીના કુંડા સહિત અન્ય જગ્યાએ લગાવેલા સીસીટીવી દ્વારા વન્ય જીવોની હિલચાલ પર નજર પણ રાખવામાં આવી રહી છે, સાથે સાથે આ અભયારણ્યમાં પર્વતની ગિરિમાળાઓ વચ્ચે એક મોટું તળાવ પણ આવેલું છે અને એ બારેમાસ પાણીથી ભરાયેલું રહે છે, જેથી અહીં પશુઓની સાથે સાથે પક્ષીઓનો પણ નજારો જોવાલાયક હોય છે. કેટલીક વાર તો આ વિસ્તારમાં દુર્લભ પક્ષી પણ જોવા મળી જતું હોય છે. અહી મુખ્યત્વે ગયણો, ખરેખટ્ટો, સમડી, દૂધરાજ, પીળક, કંસારો, પોપટ, ઘણટી ટોકનું, ચાષ, પચનક લટેરો જેવાં પક્ષીઓ વસવાટ કરે છે. જંગલ વિસ્તારમાં અનેક એવી વનસ્પતિ, જેવી કે ખાખરો, ઉબાયો, દૂધી, બીલી, બાવળ જેવી અનેક વનસ્પતિઓને સ્થાન અપાયું છે. કેટલાંય અલગ અલગ પ્રકારનાં વૃક્ષો તેમજ આયુર્વેદિક જડીબુટ્ટી પણ આવેલી છે.
પ્રવાસીઓ માટે રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ
આ કુદરતી સૌંદર્યનો નજારો જોવા અહીં વર્ષે હજારો લોકો આવે છે. અહીં પ્રવાસીઓ ટ્રેકિંગ કરી વન્યસૃષ્ટિને જાણી-માણી રહ્યા છે. અભયારણ્યમાં પ્રવાસીઓને રહેવા તેમજ જમવા માટેની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે, જેને લઇ અત્યારે તો જસોર અભયારણ્ય લોકો માટે જંગલ નહીં, પરંતુ હરવાફરવા માટેનું પર્યટક સ્થળ બની ગયું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.