બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં વધુ એક આત્મહત્યાની ઘટના બની છે. આજે થરાદ પાસેથી પસાર થતી કેનાલમાં એક દંપતીએ બે બાળકીઓ સાથે કોઈ કારણોસર કેનાલમાં ઝંપલાવતા ચારે'યના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક વ્યકિતની જાણ બહાર શોધખોળ હાથ ધરાઈ
બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ચાર લોકોએ ઝંપલાવ્યું હોવાની એક વ્યકિત દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી. જેથી થરાદ ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. કલાકોની શોધખોળ બાદ કેનાલમાંથી દંપતી અને તેની બે બાળકીઓ સહિત ચાર મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી.
આજે કેનાલમાં ડૂબી જતાં કુલ 6 લોકોના મોત થયા
બનાસકાંઠા જિલ્લામાં આજે કેનાલમાં ડૂબી જતા કુલ 6 લોકોના મોત થયા છે. એક જ પરિવારના ચાર લોકોના મોત ઉપરાંત સવારે થરાદની એઢાટા કેનાલમાં ન્હાલા પડેલા ત્રણ બાળકોમાંથી બે બાળકોના પણ ડૂબી જતા મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળકને સ્થાનિક દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.
આર્થિક રીતે સુખી સંપન્ન છતાં આત્મહત્યા કેમ કરી?
પીલુડાના ગ્રામજનો પણ સારી ખેતી ધરાવતા બે ભાઇઓનો પરિવાર આર્થિક રીતે સુખી હતો. તેમજ બધો વ્યવહાર પણ મૃતક કાળુભાઇ કરતો હતો. વળી સાટાપ્રથામાં લગ્ન થયેલ હોઇ અગાઉના અણબનાવને બાદ કરતાં બધુ સમુસુતરુ ચાલતું હતું. છતાં પણ અંતિમ પગલું ભરતાં ગ્રામજનો પણ વિમાસણમાં પડ્યા હતા. જો કે સામાજીક કારણોસર આત્મહત્યા કરી હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું.
સૌથી મોટી પુત્રી દિવ્યાંગી બચી ગઇ
ચર્ચાઓ મુજબ કાળુભાઇ પંડ્યા પોતાના બાળકોને દવાખાને જવાનું કહીને ઘેરથી નિકળ્યો હતો. જો કે સૌથી મોટી પુત્રી દિવ્યાંગી નસીબજોગે દોડી જતાં તેણી બચી જવા પામી હતી. જો કે તેણી માતા-પિતાની છત્રછાયા છિનવાતાં તેણી અનાથ બનવા પામી હતી.
બાઈક કેનાલ પર મુકી પડતાં પહેલાં નાનભાઇને ફોન કર્યો
કાળુભાઇએ કેનાલમાં પડતાં પહેલાં પોતાના નાનાભાઇને ફોન કર્યો હતો. જેમાં તેણે એક પુત્રી તેને સોંપીને જઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ હવે આપણો સંબંધ પુરો એમ કહીને ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ નાનાભાઇએ ફરીથી ફોન કરતાં કેનાલ પર એકઠા થયેલા લોકોએ ઉપાડ્યો હતો. જેના કારણે તે કેનાલમાં પડ્યો હોવાની પરિવારને જાણ થવા પામી હતી.
મૃતક ગીતાબેન સર્ગભા હતી
મૃતક ગીતાબેન સર્ગભા હોવાનું તેમજ અગાઉ પણ તેમને બે બાળકોનાં અવસાન થયાં હોવાનું જાણવા મળ્યું હતું. રવિવારે કેનાલમાં ગર્ભમાં રહેલા પાંચ મહિનાના બાળક સહિત પાંચનાં મોત થવા પામ્યાં હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું.
કમનસીબ મૃતક
1.કાળુભાઈ મોહનભાઇ પંડ્યા (ઉંમર વર્ષ-30, પિતા)
2. ગીતાબેન કાળુભાઇ પંડ્યા (ઉંમર વર્ષ-25, માતા)
3. ભવ્યતાબેન કાળુભાઇ પંડ્યા (ઉંમર વર્ષ-4, પુત્રી)
4. અવનીબેન કાળુભાઇ પંડ્યા (ઉમર વર્ષ-2, પુત્રી)
એક-એક બાળકીને લઇને માવતરે મોતની છલાંગ લગાવ્યાની આશંકા
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યા મુજબ માતા-પુત્રીના મૃતદેહ અને પિતા-પુત્રીના મૃતદેહ સાથે સાથે મળતાં બંન્નેએ એક-એક પુત્રીઓને સાથે લઇને મોતની છલાંગ લગાવી હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું.
આગામી મહિનામાં મૃતકની બહેનનાં લગ્ન હતાં
આગામી મે મહિનાથી 10 તારીખે મૃતકની બહેનનાં સાટાપ્રથામાં લગ્ન હતાં. જે માટે કાળુભાઇએ મંડપ અને રસોડાનો ઓર્ડર પણ આપી દિધેલ હોવાનું જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.