પાલનપુરની ફેકટરીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતાં કર્મચારીનું સીમકાર્ડ ત્રણ દિવસ બંધ થઇ ગયું હતુ. જે ચાલુ કરાવ્યું ત્યાં સુધીમાં અજાણ્યા શખ્સે ફેકટરીના બેંક ખાતામાંથી રૂપિયા 33 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી દીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
પાલનપુર - અમદાવાદ હાઇવે નજીક આવેલી ઘી - તેલના ખાલી ડબ્બા બનાવવાની ફેકટરી જાળેશ્વર ટીન ઇન્ડ્રસ્ટ્રીમાં એકાઉન્ટનું કામ સંભાળતાં સાગ્રોસણાના હરેશગીરી કેશવગીરી ગૌસ્વામીએ ફેકટરીના બેંક અેકાઉન્ટમાં પોતાનો મોબાઇલ આપ્યો હતો. જેના ઉપર આવતાં ટ્રાન્જેકશન મેસેજ ફેકટરીના વહિવટદાર ગોવિંદભાઇ નરસંગભાઇ ચૌધરી, જયેશભાઇ નાનજીભાઇ ચૌધરી જોઇ શકે છે. દરમિયાન 25 જાન્યુઆરીના દિવસે આ મોબાઇલ બંધ થઇ ગયો હતો.
જેમણે 26 જાન્યુઆરીએ તેમના દીકરા કિરણને પાલનપુર બીએસએનએલ કચેરીએ મોકલ્યો હતો. જોકે, સીમકાર્ડ હરેશપુરીના પિતાના નામે હોવાથી તેમના નામનું આધાર કાર્ડ આપી નવું સીમ ચાલુ કરાવ્યું હતુ. આ પ્રોસેસ દરમિયાન અજાણ્યા શખ્સે યેન- કેન પ્રકારે ઇન્ટરનેટ બેંક ટ્રાન્જેકશન માટેના ઓટીપી મેળવી બેંક ખાતામાંથી રૂપિયા 33,00,000 ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. આ અંગે હરેશગીરી ગૌસ્વામીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ફેકટરીમાં 6 ભાગીદાર છે
ધી -તેલના ખાલી ડબ્બા બનાવવાની આ ફેકટરીમાં સાગ્રોસણાના નાનજીભાઇ અવચળભાઇ પટેલ, હસમુખગીરી કેશવગીરી ગોસ્વામી, સેદ્રાસણના કેતનકુમાર રામજીભાઇ ચૌધરી, સાગ્રોસણાના રમેશકુમાર ઘેમરભાઇ ફોફ, પાલનપુર બેચરપુરાના નરેન્દ્રગીરી બાબુગીરી ગૌસ્વામી અને સાગ્રોસણાના ટીનાબેન ભાવેશકુમાર વાગડા ભાગીદાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.