દેશ-દુનિયાના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી ધામને સર્વશ્રેષ્ઠ યાત્રાધામ ઘોષિત કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે આયોજિત એશિયા બિગેસ્ટ એવાૅર્ડ-22ના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવાૅર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેને એવોર્ડ સ્વીકાર્યો
યાત્રાધામ અંબાજીને ટૂરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોનાકાળમાં આપેલી સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને આ એવાૅર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે યાત્રાધામ અંબાજી ગુજરાતની સૌથી મોટી શક્તિપીઠ છે. જ્યાં વર્ષે કરોડો માઇભક્તો મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવાૅર્ડ મળવો એ શકિતપીઠ અંબાજી અને બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે. ઉલ્લેખનીય છે કે દેશ વિદેશમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી ધામની મુલકાત લે છે. યાત્રાળુઓ માટે પરિસરમાં નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.