કેન્દ્રીય ગૃહમંત્રી 18 અને 19 માર્ચે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ 18 અને 19મી તારીખે ગુજરાતના મહેમાન બનશે. આ દરમિયાન તેઓ લોકસભા મત વિસ્તારમાં ઘણી બેઠકો યોજશે. તો કલોલ ખાતે પણ અધિકારીઓ સાથે મિટિંગ યોજશે. કેન્દ્રીય ગૃહમંત્રીની શનિવારે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાશે, જેમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસનાં કામો અંગે ચર્ચા થશે. અમિત શાહના આગમનને લઈ ગાંધીનગર લોકસભાનું વહીવટી તંત્ર પણ સક્રિય થઈ ગયું છે.
રાજ્યમાં નવી 21 GIDC બનાવવાની સરકારની જાહેરાત
સરકાર દ્વારા રાજ્યમાં નવી 21 GIDC બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સત્રમાં ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરના જવાબમાં આ મહત્ત્વની જાહેરાત કરાઈ છે. જેમાં અમદાવાદના ગાંગડને નવી GIDC મળશે. બનાસાકાંઠાના થરાદ, વડગામ, લવાણા, ભીલડી, પાલનપુરમાં નવી GIDC બનશે તેવી જાહેરાત કરાઈ છે. પાટણના સિદ્ધપુર અને સાંતલપુર તેમજ રાજકોટના વિંછિયામાં નવી જીઆઈડીસી બનશે. ભરૂચના આમોદ તેમજ મહેસાણાના જોટાણા તથા નાની ભલુમાં જ્યારે ગાંધીનગરના કડજોદરા નવી જીઆઈડીસી સ્થાપાશે. છોટા ઉદેપુરના લડોદમાં અને અમરેલીના સાવરકુંડલા તેમજ ગીર સોમનાથના નવા બંદરમાં નવી GIDCમાં બનાવવાની જાહેરાત કરાઈ છે. ખેડાના ઠાસરામાં પણ નવી GIDC બનશે. ઉદ્યોગ વિભાગ જમીનની ઉપલબ્ધતા માટે અભ્યાસ કરાશે તેમજ ઉદ્યોગ સ્થાપના માટે આનુષંગિક વ્યવસ્થાનો પણ અભ્યાસ કરવામાં આવશે. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે ગૃહમાં જાહેરાત કરી છે. રાજ્યમાં નવી 21 GIDC બનાવવાની જાહેરાત કરાઈ છે ત્યારે આ નિર્ણયથી રોજગારીની તકો વધશે.
રાજ્યમાં કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું
ગુજરાતમાં કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓનો રાફડો ફાટ્યો છે. એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 49 કેસ નોંધાયા છે. જેની સામે 22 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં 1154 દર્દીઓનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે. કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 336 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 331 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,781 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11,047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
M.S.યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ વચ્ચે મારામારી
આજે બપોરે એમ.એસ. યુનિવર્સિટીની આર્ટસ્ ફેકલ્ટીમાં બે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા મનદુઃખના સમાધાન દરમિયાન બંને જૂથના વિદ્યાર્થીઓ ઉગ્ર બની જતા મામલો બિચક્યો હતો. અને ASU અને ABVP જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે ફિલ્મોમાં દર્શાવાતી મારામારીની જેમ મારામારી ઉપર ઊતરી આવ્યા હતા. કેન્ટીનમાં મારામારી થતાં કેન્ટીનમાં ચા-નાસ્તો કરવા માટે આવેલા અન્ય વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી. કેન્ટીન સંચાલકો પણ કેન્ટીનમાં થયેલી મારામારી જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. અને મામલો થાડે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જે સીસીટીવી ફૂટેજ વાઇરલ થતા આખરે મામલો સયાજીગંજ પોલીસ મથકમાં પહોંચ્યો. પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે મારામારી કરનાર ચાર જેટલા વિદ્યાર્થીઓને પોલીસ મથકમાં બેસાડી દઈ વધુ તપાસ હાથ ધરી.
બસમાં કંડક્ટરને મહિલાઓએ માર માર્યો
દરા-જંબુસર જતી રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસમાં પાદરા-જંબુસર રોડ પર આવેલી કંપનીઓમાં નોકરી કરતાં અનેક મહિલા અને પુરુષ કર્મચારીઓ અપડાઉન કરે છે. જેમાં પાદરા-જંબુસર રોડ ઉપર દોડતી એસ.ટી. બસનો કંડક્ટર મુસાફરો દ્વારા હાથ બતાવવા છતાં પણ ઊભી રાખતો ન હતો. ત્યારે કંડક્ટર બસ ઊભી રાખતો ન હોવાથી રોષે ભરાયેલી મહિલા મુસાફરોએ કંડક્ટરને લાફાવાળી કરી હતી. બાદમાં કંડક્ટરને વડુ પોલીસ મથકના હવાલે કરી દીધો હતો. મહિલા મુસાફરોએ કંડક્ટર ઉદ્ધતાઇભર્યું વર્તન કરતો હોવાનો અને છેડતી કરતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. પોલીસ મથકમાં પોલીસે બંનેની રજૂઆતો સાંભળી ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી હતી. જોકે, બસ કંડક્ટરે નિયમિત બસ ઊભી રાખવાની મહિલા મુસાફરોને ખાતરી આપ્યા બાદ મહિલા મુસાફરોએ કંડક્ટરને બક્ષી દીધો હતો. અને પોલીસે પણ કંડક્ટરને કડક સૂચના આપીને રવાના કરી દીધો હતો.
દક્ષિણ આફ્રિકામાં ગુજરાતીની હત્યા
રાજકોટના અને છેલ્લાં 5 વર્ષથી સાઉથ આફ્રિકાના મડાગાસ્કર ટાપુ ખાતે સ્થાયી થયેલા અને જથ્થાબંધ અનાજ-ખાંડનો વેપાર કરતા હરેશ રોહિતભાઈ નેભાણી (ઉં.વ.35) ગત શનિવારે પોતાના પિતરાઈ ભાઈ સાગર નેભાણી (ઉં.વ.30) સાથે કારમાં ઘર તરફ જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં બે બાઈક સવાર હબસી દ્વારા લૂંટના ઈરાદે કાર આંતરી હરેશ પર ફાયરિંગ કરી કારમાંથી રૂ.75 લાખની રોકડ અને લેપટોપની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટના સમયે હરેશની સાથે રહેલા સાગરનો ચમત્કારિક બચાવ થયો હતો.
અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો આતંક
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક શરૂ થયો છે. પાર્ટી પ્લોટનો કોન્ટ્રાક્ટ ન મળવા જેવી સામાન્ય બાબતમાં રાણીપ વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટમાં દસ જેટલાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો. પાર્ટી પ્લોટમાં તોડફોડ કરી વિસ્તારમાં દહેશત ફેલાવી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.