કોરોનાના નિયમો વગર ઉત્તરાયણની ઉજવણી
બે વર્ષ બાદ કોરોનાના નિયમો વગર રાજ્યમાં આજે ઉત્તરાયણનો રંગ જામ્યો છે. હાડ થીજવતી ઠંડી વચ્ચે પણ વહેલી સવારથી જ ધાબા પર પતંગ રસિકોનો જમાવડો જોવા મળ્યો..તો છેલ્લી ઘડીએ પણ પતંગ અને ફીરકીની ખરીદી માટે બજારમાં લોકો ઉમટી પડ્યા હતા. બે વર્ષ બાદ લોકો મન મૂકીને ઉત્તરાયણની તહેવારની ઉજવણી કરશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન બે દિવસ ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં જ પોતાના પરિવાર સાથે પતંગોત્સવ ઉજવશે. ગતરાત્રે તેઓ અમદાવાદમાં આવ્યા હતા. જગન્નાથ મંદિરે દર્શન કરી વેજલપુરમાં પાર્ટી કાર્યકરો સાથે ઉત્તરાયણ મનાવશે. તો બપોર બાદ તેઓ કલોલમાં પોતાના મત વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરવાના છે. તો 15 જાન્યુઆરીએ તેઓ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના મોટી આદરજ ગામે ગામના વિકાસ અને પર્યાવરણ જાગૃતિ અંગે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે.
રાજ્ય શિક્ષણમંત્રીની 'સ્વચ્છતા'
ગુજરાતના રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાની આજે એક અનોખી કામગીરી સામે આવી છે. રાજ્ય શિક્ષણ મંત્રી કામરેજ તાલુકાના ડુંગરા ગામની પ્રાથમિક શાળામાં પહોંચી હતી મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શાળાની શૌચાલયની સ્થિતિ ખરાબ જણાતા તેમણે જાતે જ સાફ-સફાઈ શરૂ કરી દીધી હતી. અને શાળામાં સ્વચ્છતા અને સાફ-સફાઈને લઈ રાજ્યમાં અનોખો મેસેજ પ્રસ્તુત કર્યો હતો.
ગુજરાત BJPમાં થઈ શકે છે મોટા ફેરબદલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે પ્રદેશ ભાજપમાં મોટા ફેરબદલ થઈ શકે છે. વાત જાણે એમ છે કે, સંગઠનના હોદ્દા પર રહેલા જે વિધાનસભા જીત્યા તેમના રાજીનામા લેવાઈ શકે છે. મહત્વનું છે કે, ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાની પોલીસી પર કામ થશે. આ તરફ ચૂંટણીમાં અનેક શહેર-જિલ્લાના પ્રમુખ ઉપ-પ્રમુખ, મહામંત્રી ચૂંટણી લડ્યા હતા. જોકે હવે પ્રદેશ સંગઠનના જેટલા નેતાઓ ચૂંટણી જીત્યા છે તેમના રાજીનામા લેવાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણમાં અમદાવાદ આવ્યા છે..અમિત શાહની ગુજરાત મુલાકાતમાં રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાશે જે બાદ કારોબારીની બેઠક બાદ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ફેરફાર કરવામાં આવી શકે છે.
રાજ્યમાં ફરી વધશે ઠંડી
રાજ્યમાં ફરી ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા 3 થી 6 ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. તો કચ્છમાં 14 અને 15 જાન્યુઆરીએ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં પણ ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે.
વૃદ્ધા પર કૂતરાઓનો જીવલેણ હુમલો
વડોદરામાં રખડતા ઢોર અને કુતરાઓનો ત્રાસ ઓછો થવાને બદલે પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના નિઝામપુરા વિસ્તારમાં એક વૃદ્ધા પર 8થી 10 જેટલા શેરી કૂતરાંએ હુમલો કરતા ગંભીર ઇજા પહોંચી હતી. હાથ-પગ અને છાતીના ભાગે કૂતરાંઓએ બચકાં ભરતા વૃધ્ધા લોહીલુહાણ થઇ ગયા હતા. વૃદ્ધાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. વૃધ્ધાએ જણાવ્યું હતું કે, સ્થાનિક યુવાન સમયસર આવ્યો ન હોત તો મને કૂતરાંઓએ મારી નાંખી હોત.
લોક દરબારમાં ભાવુક દ્રશ્યો સર્જાયા
વ્યાજખોરોનું દૂષણ ડામવા રાજ્યભરમાં પોલીસ લોક દરબાર યોજી રહી છે..એવામાંસુરતમાં યોજાયેલા લોક દરબારમાં ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા..એક દંપતિ જે વ્યાજના વિષચક્રમાં ફસાઈ આત્મહત્યા કરવા જઈ રહ્યુ હતુ તેને બચાવી પરિસ્થિતિમાં બહાર કાઢ્યા..જેથીં દંપતીએ રડતી આંખે પોલીસનો આભાર માન્યો.એટલું જ નહીં ચરણ સ્પર્ષ કરી આભાર વ્યક્ત કર્યો.આ લોક દરબારમાં પોલીસે વ્યાજના નિયમની લોક સંવાદમાં સમજ પણ આપી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.