વાંસદા તાલુકાના ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ દ્વારા યુવરાજસિંહ જાડેજા પર લગાવેલી 307,332 કલમો હેઠળ થયેલ ખોટા કેસો પરત લેવા અને મુક્ત કરવા મુખ્યમંત્રી ને સંબોધીને મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. વાંસદા તાલુકાના ચાપલધરા વિભાગ રાજપૂત સમજના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકીની આગેવાનીમાં વાંસદા મામલતદાર એમ.એસ.વસાવાને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર સુપરત કર્યુ હતું.
જેમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી પરીક્ષામાં યેનકેન પ્રકારે થતાં ગોટાળાઓ અને પરીક્ષા પહેલા જ પેપર લીકના દાખલાઓ યુવરાજસિંહ જાડેજા મીડિયાના માધ્યમથી ઉજાગર કરતા રહ્યા અને અવાજ ઉઠાવતા રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ ઉઠાવેલા અવાજના કારણે બિનસચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષા રદ કરવાની સરકારને ફરજ પડી હતી. સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે એમને ન્યાય અપાવવા બાબતે સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિ બાબતે યુવરાજસિંહ જાડેજા લડત આપતા રહ્યાં છે.
યુવરાજસિંહ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સરકારી ભરતીમાં થતા કૌભાંડોને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકારની મદદ જ કરે છે. એમને ન્યાય આપીને સરકારે સાચા ગુનેગારોને પકડવા જોઈએ અને યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં લગાવેલ 307 અને 332 જેવી કલમો હટાવીને એમની ધરપકડમાંથી મુક્ત કરવા જોઈએ.
સમગ્ર ગુજરાતની સર્વ સામાજિક સંસ્થાઓ દ્વારા તાત્કાલિક યુવરાજસિંહ પર લગાવેલ ગુના દૂર કરવામાં આવે અને એમને રિલીઝ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવે છે. સમગ્ર ગુજરાત રાજપૂત સમાજ (ક્ષત્રિય) સમાજની સાથે સર્વે સમાજના લાખો વિદ્યાર્થીઓ યુવરાજસિંહ જાડેજાની સાથે છે અને જરૂર પડશે ત્યાં એમના માટે મોટી લડત પણ આપશે એવું આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધીને રાજપૂત સમાજના આગેવાનો-યુવાઓએ સુપરત કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.