નવસારી જિલ્લા પોલીસ દ્વારા કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ખાતેથી માર્ગ સુરક્ષા અને સલામતીના નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો ઉપર 24 કલાક સર્વેલન્સ અને મોનિટરીંગ કરવામાં આવે છે. જોકે નેત્રમ પ્રોજેક્ટ બાદ અકસ્માતની સંખ્યામાં ઘટાડો પણ થયાની માહિતી પોલીસ કંટ્રોલ ખાતેથી મળી છે.
નવસારી જિલ્લામાં તા.1 જાન્યુઆરી 2022 થી 15 એપ્રિલ 2022 સુધીમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 7,626 વાહન ચાલકો CCTVની નજરે ચડી જતા 34.25 લાખના દંડના ઇ-ચલણ વાહન ચાલકોના નિવાસસ્થાને મોકલી દેવામાં આવ્યા હતા. પણ માત્ર 3,590 લોકોએ 15,08,100 દંડ ભર્યો છે, જ્યારે હજુ પણ 4036 લોકોએ દંડ ન ભર્યાની માહિતી પણ મળી છે. નવસારી શહેર વિસ્તારમાં પણ ગુજરાત રાજ્યનાં વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત નવસારી શહેમાં 24 પોઈન્ટ ઉપર 129 થી વધુ CCTV 24 કલાક કાર્યરત છે.
વિશ્વાસ પ્રોજેકટ હેઠળ નવસારી જિલ્લામાં લગાવેલા CCTV કેમેરા દ્વારા માર્ગ સુરક્ષા અને સલામતીના ભાગ રૂપે વાહનચાલકોને ત્રણ સવારી, સીટ બેલ્ટ વગર વાહન હંકારવું, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામા નવસારી જિલ્લામાં કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર(નેત્રમ )ઇ-ચલણ આપવામાં આવે છે. તા.1 જાન્યુ. થી 15 એપ્રિલ સુધીમાં માર્ગ સલામતિના નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોને 7,626 ઇ-ચલણ મોકલવામાં આવ્યા છે. જેમાંથી 3,590 લોકો રૂ.15,08,100 દંડ ભરી ગયા છે. ત્યારે 4,036 લોકો હજુ પણ 1919400 દંડ ભરી ન ગયા હોવાની માહિતી મળી છે. ઇ-ચલણ ભરવા માટેની મુદત 1 માસની જ હોય છતાં ન ભરી જતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
વર્ષ 2022માં ફેઝ-2માં નવા 141 CCTV કેમેરા નવા મુકાશે
નવસારી પાલિકાનું વિસ્તરણ થતા ફેઝ-2માં નવા સીસીટીવી મુકવા માટેની મંજૂર મળી ગઈ છે. જેમાં 14 જેટલા લાઈવ સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે. જેમાં વિરાવળના પ્રવેશ દ્વારે, જલાલપોર વિસ્તારમાં અને સ્ટેટ લેવલ પર નવસારી ગુજરાતની બોર્ડર ઉપર આવેલા વાંસદા તાલુકાના બીલમોડા અને નિરુપણ ગામે થતી પ્રવૃત્તિની હિલચાલ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે.બીલીમોરામાં પણ 15 જેટલા સ્થળોએ 72 જેટલા નવા સીસીટીવી કેમેરા મુકાશે.
સરકારે અઢી વર્ષમાં 1.42 કરોડ દંડ પેટે જમા કર્યા
નવસારી જિલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ શહેરભરમાં 2020 ફેબ્રુઆરીથી સીસીટીવીની કામગીરી શરુ થતા ઈ-મેમોની કામગીરી પણ શરુ થઈ હતી. જેમાં અઢી વર્ષમાં 44,800થી વધુ વાહનચાલકોને ઈ-મેમો મોકલાયા છે, પણ તે પૈકી માટે 30,859 વાહન ચાલકોએ મેમો ભરી જતા સરકારને આશરે રૂ.1.42 કરોડની આવક પણ થઈ હતી.
28 લાખની છેતરપીંડીનો કેસ CCTVની મદદથી ઉકેલાયો હતો
નવસારી ટાઉનમાં સત્તાપીર પાસે 28 લાખની ખોટી ચલણી નોટ આપી સાચા હીરા લઈ જનારા આરોપીની ઓળખ માટે CCTVના મદદથી થઈ જતા વિશ્વાસધાત અને છેતરપીંડીનો કેસ ઉકેલાયો હતો.>એ.આર પટેલ, પીએસઆઇ, વાયરલેસ વિભાગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.