સુરતના મહુવામાં 5 માર્ચ રવિવારે યોજાનાર ગોળીગઢના મેળા દરમિયાન દર્શનાર્થીઓને અવર જવર માટે વલસાડ એસ.ટી વિભાગ દ્વારા નવસારી બસ ડેપોથી વધારાની 40 એસ.ટી બસ એક્સપ્રેસ ભાડાથી દોડાવાનું આયોજન એસ.ટી.વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેનો લાભ નવસારીના મુસાફરને લેવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, વલસાડની વિભાગીય નિયામકની કચેરીએ જણાવ્યું હતું. નવસારી ડેપોમાં દર 20 મિનિટે બસ મુકવામાં આવશે.
આ બસ નવસારી ડેપોમાંથી વાંસકુઇ ચાર રસ્તા નજીક જશે. આ સેવાનો લાભ લેવા બસ ડેપોના મેનેજર કલ્પેશ ગાંધીએ અનુરોધ કર્યો છે. ગત વર્ષે ગૃહમંત્રીના સુમુલ ડેરીમાં લોકાર્પણ કાર્યક્રમને લઈ યોગ્ય બસનું આયોજન નહીં કરાતા મુસાફરો હેરાન થયા હતા. આ વર્ષે ભક્તોની ભીડ જામવાની હોય તેને લઈ ડેપો દ્વારા વધારાની બસ દોડાવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવસારી ડેપો દ્વારા વધારાની ઇન્કમ મેળવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.
દર વર્ષે 3થી 3.50 લાખની આવક
નવસારીથી ગોળીગઢ બાપાના મંદિરે દર વર્ષે નવસારી જિલ્લાના શ્રદ્ધાળુઓ માનતા અને દર્શન માટે જાય છે. નવસારી એસટી ડેપોએ દર 20 મિનિટે બસસેવા આપશે. દર વર્ષે આ મેળામાં બસ મુકવામાં આવતા 3 થી 3.50 લાખની આવક એક દિવસમાં થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.