નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજમાં વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી ટેબ્લેટ નથી મળ્યું કે શિષ્યવૃત્તિ પણ નથી મળી. જેનો વિરોધ કરી આજે મંગળવારે કોલેજ મેનેજમેન્ટને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જો કે વિદ્યાર્થીઓના આ વિરોધમાં સાથે કોંગી ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા હતા.
માંડ-માંડ ખેતીવાડી કરીને ગુજરાન ચલાવતા ગરીબ આદિવાસીઓના સંતાનો ઉચ્ચ શિક્ષણ મેળવી અન્ય સમાજની હરોળમાં આવે એવા નેમ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર તત્પર રહેતી હોવાના દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જેમાં વાંસદાની સરકારી કોલેજના વિદ્યાર્થીઓને બે વર્ષથી શિષ્યવૃત્તિ કે ટેબ્લેટ ન મળતાં છેવટે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટને રજૂઆત કરી હતી.
નવસારી જિલ્લામાં આવેલા આદિવાસી પંથક ગણાતા વાંસદા તાલુકાની પ્રતિષ્ઠિત સરકારી કોલેજના આદિવાસી વિદ્યાર્થીઓ ટેબ્લેટ તેમજ શિષ્યવૃતિથી છેલ્લા બે વર્ષથી દૂર રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓએ કોંગી ધારાસભ્યને સાથે રાખી રજૂઆત કરી હતી કે વિકસતા જતા જમાનામાં આદિવાસી વિદ્યાર્થીઓ કદમ મિલાવી શકે તે માટે શિષ્યવૃતિ અને ટેબ્લેટ અનિવાર્ય બન્યું છે, ત્યારે રાજ્યનું આદિજાતિ ખાતું આ તમામ વિદ્યાર્થીઓની માંગની અવગણના કરતું હોય એમ વિદ્યાર્થીઓ ટેબ્લેટ-શિષ્યવૃત્તિથી વંચિત રહ્યા છે. જેને લઈને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અનંત પટેલ વિદ્યાર્થીઓના સમર્થનમાં તંત્ર અને સરકાર સામે જોડાયા છે. જેના અંગે આજે તમામ વંચિત વિદ્યાર્થીઓએ ભેગા મળીને આવેદન આપી શિષ્યવૃતિ અને ટેબ્લેટની માંગણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.