ગણદેવી તાલુકાના મટવાડ મસ્જીદ ફળિયામાં રહેતા ઈબ્રાહીમ અહમદ ઈશાત (ઉ.વ.67) એ જણાવ્યું હતું કે 10મી જાન્યુઆરી તેમની પત્ની સલમાબેન, દીકરી સુમેયાબેન તથા પુત્રવધુ હુમેરાબેન ઘરે હાજર હતા. રાત્રે 8 વાગ્યાની આસપાસ હળપતિવાસમાં રહેતા મહેશભાઈ બાલુભાઈ હળપતિ, બલ્લુભાઈ નગીનભાઈ હળપતિ, ચંચળબેનનો દીકરો રૂમિત હળપતિ, સતીશભાઈ મંગુભાઈ હળપતિ, સુનિલભાઈ અનુપભાઈ હળપતિ, હિતેશભાઈ મંગુભાઈ હળપતિ તેમના ઘર પાસે આવ્યા હતા.
જેથી તેઓ ઘરમાંથી નીકળી બહાર જોવા જતા મહેશભાઈ હળપતિએ જણાવેલું કે તમારા ઘરના પાછળ આવેલા વાડાના કાગળો બતાવો ? ત્યારે તેમણે વાડાના કાગળોની તમારે શું જરૂર છે એમ જણાવતા રૂમિત હળપતિ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે જણાવ્યું હતું તમારા ઘરના દરવાજા તોડી નાખીશું અને તમને સુવા નહીં દઈએ તેવી ધમકી આપી હતી. સતીશભાઈ હળપતિએ પણ ઉશ્કેરાઈ જઈ આજે તમારું ઘર સળગાવી દઈશું અને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
આ ઘટનાની જાણ તેમને દીકરાને કરતા તે તેના મિત્રો સોહેલ અબ્દુલ બદાત (રહે. ટાંકી ફળિયું, મટવાડ), જુનેદ ઈસ્માઈલ મેહતર (રહે. મટવાડ મહેતર ફળિયું) તથા માઝ યુસુફ મેહતર તેમના ઘરે આવી પહોંચ્યા હતા. તે દરમિયાન આશરે 8.30 ઘરની પાછળ લોકોનો અવાજ આવતો હોય જેથી તેઓ, પરિવારના સભ્યો તથા તેમના પુત્રનના મિત્રોએ બારીમાંથી જોતા ઉપરોક્ત શખસો અને બીજા પાંચ –છ શખસ ધરની પાછળ આવેલ વાડાની ફરતે બનાવેલી તાર ફેન્સિંગની વાડ તોડી નાંખી હતી અને શાકભાજીના વેલાનો માંડવો પણ તોડીને નુકસાન પહોંચાડ્યું હતું.
જેથી તેમણે આ બનાવ અંગે ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એસ.વી.આહીર એ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 5 આરોપીની અટક કરી છે અને તેમનો કોરોના ટેસ્ટ કરી આગળની કાર્યવાહી કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.