ચોમાસાની શરૂઆત થવાની હોઈ હાલમાં ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણની ખરીદી કરવામાં આવતી હોય છે. ખેડૂતોને ગુણવત્તાસભર અધિકૃત બિયારણ ખાતર અને જંતુનાશક દવા ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી ખેતી નિયામક ગાંધીનગરની સૂચનાથી નવસારી જિલ્લાના દવા-બિયારણ-ખાતર વિક્રેતાને ત્યાં આંતર જિલ્લા સ્કવોર્ડ સુરત દ્વારા 74 ડિલરોને ત્યાં તપાસ હાથ ધરી નમૂના લઈ 51 હજારની દવાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
આંતર જિલ્લા સ્કવોર્ડ સુરત દ્વારા નવસારી જિલ્લાના જુદા જુદા 74 જેટલા ડિલરોને ત્યાંથી બિયારણના 8, રાસાયણિક ખાતરના 1 તથા જંતુનાશક દવાના 1 મળી કુલ 10 નમૂના લઈ રાજ્ય પ્રયોગ શાળા ગાંધીનગરમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. બિયારણ માટે 2, ખાતર માટે 1 અને દવાના 1 મળી કુલ 5 વિક્રેતાને નોટિસ પાઠવવામાં આવી છે અને 51 હજારનો જથ્થો અનિમિયતતાના કારણે અટકાવવામાં આવ્યો છે.
ખેડૂતોએ ખેત સામગ્રીની ખરીદી સમયે વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પૂરેપૂરા નામ-સરનામા તથા સહીવાળા બીલમાં ઉત્પાદકનું નામ, બોટ નંબર-બેચ નંબર તથા જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મુદત પૂરી થયા તારીખ વિગતો દર્શાવતું પાકું બિલ મેળવી લેવા તાકીદ કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.