બીલીમોરાના પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ અને સાંસ્કૃતિક ભવનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરના અધ્યક્ષતામાં ‘જન ઔષધિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેનો હેતુ જનઔષધિ યોજના વિશે જન-જાગૃતિ વધારી જેનરીક દવાઓને પ્રોત્સાહન પુરું પાડવાનો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, તંદુરસ્ત સ્વાસ્થ્યને માનવજીવનના વિવિધ સુખોમાં સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રવર્તમાન સમયમાં બજારમાં મળતી બ્રાન્ડેડ દવાની ઉંચી કિંમત સામાન્ય અને મધ્યમ વર્ગને પહોંચી શકાય તેમ નહીં હોય માટે આ પરિયોજના આશીર્વાદ સમાન છે. દર વર્ષની જેમ 7મી માર્ચે-2023ની ઉજવણી કરાઇ છે. સામાન્ય જનતામાં જેનેરિક દવાઓ વિશે સમજ કેળવાય તે હેતુથી સસ્તી દવાઓ અને સારી દવાઓના થીમ પર નવસારીમાં ઉજવાયો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ્ર રંગુનવાલાએ સૌને આવકાર્યા હતા. જેનેરિક મેડિકલ સ્ટોરોમાં ઉપલબ્ધ ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર તથા અન્ય ઘણા રોગોની દવાઓ વિશે માહિતી આપી હતી. દવાની ગુણવત્તા અને અસરકારકતા વિશે માર્ગદર્શન આપ્યું હતું. બીલીમોરામાં જેનરીક મેડિકલ સ્ટોરના દવાના વિક્રેતા પ્રજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું કે જેનેરિક દવાઓ પણ સારી ક્વોલિટીની જ હોય છે. તેની અસરકારકતા પણ બ્રાન્ડેડ દવાઓ જેવી જ હોય છે.
મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવોએ જનઔષધિ યોજના અંગે જન-જાગૃતિ વધારવા સહિત જેનરિક દવાને પ્રોત્સાહિત કરીને પોતાના પ્રતિભાવો અને જેનરિક દવાના ઉપયોગ અંગે ઉપસ્થિત સૌને માર્ગદર્શિત કર્યા હતા. નવસારી જિલ્લામાં હાલ 5 જનઔષધિ કેન્દ્ર કાર્યરત છે જેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા પ્રજાજનોને અનુરોધ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.