નાંદોદ તાલુકાના તરોપા ગામે આવેલી અને રાજપીપલા વિભાગ ગ્રામ કેળવણી મંડળ-તરોપા સંચાલિત શ્રી આર.એન.દીક્ષિત હાઈસ્કૂલના સ્થાપક રાજેન્દ્રસિંહ એન. દીક્ષિત (બાપા)ના શતાબ્દિ મહોત્સવ સાથે હાઈસ્કૂલની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થયા છે. અવસરે ષષ્ટીપૂર્તિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતા અને UASમાં સ્થાયી થયેલા અને રાજેન્દ્રસિંહ દીક્ષિતના પુત્ર ઓગષ્ટીન દીક્ષિતની ઉપસ્થિતિમાં આજે શાળાના પટાંગણમાં યોજાયો હતો.
વિવિધ કેમ્પ પણ યોજાયા
હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં આ શાળામાંથી અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રોમાં સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કર્યા હતા. જ્યારે શાળાના પૂર્વ શિક્ષક ભાઈલાલ પરમારે અંગ્રેજી ભાષામાં લખેલા ત્રણ પુસ્તકોનું વિમોચન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પ અને બ્લડપ્રેશર-ડાયાબિટીશ કેમ્પ પણ યોજાયો હતો.
વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય રશ્મિ વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી. ભૂસારા, રાજપીપળા વિભાગ ગ્રામ કેળવણી મંડળ તરોપાના મંત્રી મીનાક્ષી ભણાત, ડો. ટોમસન ભણાત, ડો. શેરોન ભણાત, અમિત ગામીત, નર્મદા જિલ્લાની વિવિધ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો, શિક્ષણ જગત સાથે સંકળાયેલા અન્ય મહાનુભાવો, અધિકારીઓ-પદાધિકારીઓ, ગ્રામજનો, શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ અને હાલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.