નર્મદા જિલ્લાની નાંદોદ અને ડેડીયાપાડા બેઠક માટે ચુંટણી પંચે નિમેલા કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષક (જનરલ) ટી.વી. સુભાષે તેમની કામગીરી શરૂ કરી દીધી છે.નર્મદામાં વિધાનસભાની ચુંટણી નિષ્પક્ષ અને તટસ્થ રીતે યોજાઇ તે માટે કેરાલાના એગ્રીકલ્ચર વિભાગના ડાયરેક્ટર ટી.વી.સુભાષની કેન્દ્રીય નિરિક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેઓ રાજપીપળા ખાતે આવી ગયાં અને તેમની કામગીરી શરૂ કરી દીધી છે. તેમણે નાંદોદ બેઠકમાં આવતી વડીયા પ્રાથમિક શાળા ખાતે તેમજ ટેકરા ફળીયા બિરસામુંડા પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું અને નિયત જરૂરી સુવિધાઓની ઉપલબ્ધિ વિશે તેમણે જાણકારી મેળવી હતી.
આ ઉપરાંત તેમણે રાજપીપલાની સરકારી માધ્યમિક શાળા ખાતે મતદાનના દિવસે ફરજ ઉપર તૈનાત કરાનારા પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર સહિતના કર્મચારીઓના તાલીમ વર્ગની મુલાકાત લીધી હતી. ચુંટણી અધિકારી ગોકલાણીએ તેમને EVM-VVPAT મશીનના સંચાલન સહિત અન્ય કામગીરી બાબતે અપાઇ રહેલી તાલીમથી વાકેફ કર્યા હતાં. કેન્દ્રીય નિરિક્ષકે જિલ્લામાં મતદાનના સંદર્ભમાં થયેલી કામગીરી અને આયોજન વિશે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ચુંટણી દરમિયાન આર્દશ આચારસંહિતાનો અમલ થાય તે ખાસ જોવા માટે તેમણે સ્થાનિક અધિકારીઓને સુચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.