કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે કેવડિયામાં ચકાચોંધ છે તો બીજી તરફ કેવડીયાથી નજીવા અંતરે આવેલાં રાજપીપળામાં વેપાર-ધંધા પર માઠી અસર થતાં વેપારીઓને હિજરત કરવાની ફરજ પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે, અંકલેશ્વરથી રાજપીપળા સુધી રેલવે લાઇન નાંખવામાં આવી છે પણ કેવડીયાને રેલમાર્ગે વાયા વડોદરા સાથે જોડી દેવાતાં રાજપીપળામાં વેપાર--ધંધાને અસર પડી છે.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'
નર્મદા જિલ્લામાં આવેલાં કેવડીયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે કેવડીયા અને રાજપીપળામાં રોજગારી વધશે તેવા દાવાઓ કરવામાં આવી રહયાં છે. પણ કેવડીયામાં વધેલી ચકાચોંધ વચ્ચે રાજપીપળાના વેપારીઓને હીજરત કરવાની ફરજ પડી રહી છે અને તેનું કારણ છે રેલવે વિભાગ.. અંકલેશ્વર અને રાજપીપળા વચ્ચેની નેરોગેજ લાઇનને 800 કરોડ રૂપિયાના ખર્ચથી બ્રોડગેજમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે.
દેશના વિવિધ શહેરોમાંથી ટ્રેનો મારફતે હજારો પ્રવાસીઓ આવે છે
800 કરોડ રૂપિયાનો ખર્ચ કરી અંકલેશ્વરથી રાજપીપળાની લાઇન નાંખવામાં આવી પણ વાત જયારે કેવડીયાને દેશના અન્ય શહેરો સાથે જોડવાની આવી ત્યારે રેલવેએ રાજપીપળાથી કેવડીયા સુધી લાઇન લંબાવવાના બદલે વાયા વડોદરાથી રેલવે શરૂ કરી દીધી છે. કેવડીયા રેલવે સ્ટેશન ખાતે દેશના વિવિધ શહેરોમાંથી ટ્રેનો મારફતે હજારો પ્રવાસીઓ આવી રહયાં છે.
વેપારીઓ હવે વડોદરા સહિતના શહેરોમાં હીજરત કરવા મજબુર
દેશભરમાંથી આવતાં પ્રવાસીઓ કેવડીયામાં ફરીને ટ્રેનમાં કે અન્ય વાહનોમાં પરત ફરી જાય છે જેના કારણે રાજપીપળાના વેપારીઓની હાલત કફોડી બની છે. રાજપીપળાના વેપારીઓને આશા હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતાં પ્રવાસીઓ રાજપીપળા આવશે અને વેપાર--ધંધો વધશે પણ રેલવેએ ટ્રેનો વાયા વડોદરાથી ચાલુ કરતાં વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. રાજપીપળાના વેપારીઓ હવે વડોદરા સહિતના શહેરોમાં હીજરત કરી રહયાં છે.
રેલવે વિભાગે અમારી માગણી તરફ ધ્યાન આપવું જોઇએ
કેવડીયા જતી ટ્રેનોને વાયા રાજપીપળા દોડાવવામાં આવે તો જ વેપારીઓનો રોજગાર ચાલુ રહેશે નહી તો તેમને દુકાનો બંધ કરી દેવી પડે તેવી સ્થિતિ છે. વેપારીઓને બહારની ઘરાકી મળવાની આશા હતી જે ઠગારી નીવડી છે. - ઉરેશ પરીખ, વેપારી, રાજપીપળા
વેપારીઓ હવે ધીમે ધીમે રાજપીપળા છોડી રહ્યાં છે
સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે અમને ધંધો- રોજગાર વધવાની આશા હતી. રેલવેએ રાજપીપળાથી કેવડીયા સુધી લાઇન નાંખી નહી અને વાયા વડોદરા થઇ ટ્રેનો શરૂ કરી દીધી છે. જો રાજપીપળાને કેવડીયા સાથે રેલમાર્ગે જોડી આ રૂટ પર ટ્રેનો દોડાવવામાં આવે તો વેપારીઓને ફાયદો થશે. રાજપીપળા ખાતે ટ્રેન આવતી થશે તો પ્રવાસીઓ આવશે અને અમારો રોજગાર વધશે. હાલ તો રોજગાર પડી ભાંગ્યો છે અને વેપારીઓ અન્ય શહેરોમાં હીજરત કરી રહયાં છે. - કૌશલ કાપડીયા, મંત્રી, રાજપીપળા કાપડ એસોસીએશન
કેવડિયા ખાતે 8 થી વધારે ટ્રેન જ્યારે રાજપીપળા ખાતે એક પણ નહીં
કેવડીયા ખાતે અદ્યતન રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેવડીયા ખાતે ચેન્નાઇ, દીલ્હી, અમદાવાદ, વડોદરા, મુંબઇ સહિતના મોટા શહેરોમાંથી ટ્રેનો આવે છે પણ રાજપીપળા ખાતે એક પણ ટ્રેન આવતી નથી. જેના કારણે રાજપીપળામાં આવતાં પ્રવાસીઓની સંખ્યા વધતી નહિ હોવાથી વેપારીઓના ધંધા પર અસર પડી છે.
વેપારીઓ અન્ય શહેરોમાંથી સામાન ખરીદે છે
રાજપીપળાના કાપડ,સ્ટેશનરી તથા અન્ય વસ્તુઓના વેપારીઓ દીલ્હી, અમદાવાદ, જયપુર અને મુંબઇ સહિતના શહેરોમાંથી માલસામાનની ખરીદી કરતાં હોય છે. રાજપીપળા ખાતે બ્રોડગેજ લાઇન હોવા છતાં એક પણ ટ્રેન આવતી નથી. જેના કારણે રાજપીપળાના વેપારીઓનો માલસામાન અંકલેશ્વર ખાતે ઉતરે છે અને ત્યાંથી વેપારીઓએ સ્વજોખમે માલસામાન રાજપીપળા મંગાવવો પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.