નર્મદા જિલ્લાના દેડીયાપાડા વિસ્તારોમાં જીવીત હાલતમાં ત્યજી દીધેલી નવજાત બાળકી મળી આવી હતી. આ અંગેની જાણ સ્થાનિક લોકોને થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જે અંગેની જાણ થતાં બાળકીને સારવાર અર્થે આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દેડીયાપાડા તાલુકાના સંભુનગર ચોકડી પાસે ગત 9 નવેમ્બર 2022ના રોજ 8 કલાકના સમય ગાળામાં એક નવજાત ત્યજી દીધેલી બાળકી મળી આવી હતી. આ અંગેની જાણ આસપાસ લોકોને થતા ટોળેટોળાં ઉમટી પડયાં હતાં. નવજાત બાળકીને પ્રાથમિક સારવાર આપી સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યાંથી બાળકીને કાચની પેટીમાં રાખવાની જરૂરીયાત હોવાથી રાજપીપળા હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ મામલે દેડીયાપાડા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે પ્રાથમિક તપાસમાં કોઈ માતા-પિતાએ પોતાનું પાપ છુપાવવા તાજી જન્મેલી બાળકીને ત્યજી દીધી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. તેમજ આ બનાવથી સમગ્ર પંથકમાં માતા-પિતા સામે ફીટકારની લાગણી જોવા મળી હતી. જે અંગે પોલીસે બાળકીના માતા-પિતાની શોધખોળ હાથધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.