નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના આંબાવાડી ગામ પાસે એસટી બસે છકડા સાથે ટક્કર મારતા એકનું મોત નિપજ્યું હતું. તે જોતા નર્મદામાં બેફામ જતી ST બસો પર કંટ્રોલ જરૂરી છે. આજે વધુ એક અકસ્માતમાં આધેડ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમેશ શનિયાભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ એસ.ટી. બસ નંબર GJ- 18-2- 7906 ના ચાલકે વાહન પૂરઝડપે રોંન્ગ સાઇડે હંકારી લાવી અમેશભાઈની છકડો રિક્ષા નં.GJ-21-V-6274 ને ટક્કર મારી પલ્ટી ખવડાવી હતી. જેમાં ગોનજીભાઇ સામાભાઇ વસાવા ઉ.વ. આ.65 (રહે. નાના ડોરઆંબા તા.સાગબારા જિ.નર્મદા) ને માથાના પાછળના ભાગે તથા કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ શરીરે ઓછી-વધતી ઇજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. એસ.ટી બસ સ્થળ ઉપર મૂકી નાશી જઇ ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે બસ ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસ પહેલા ગરુડેશ્વર તાલુકાના કેવડીયા ગામના રેલવે સ્ટેશન પાસે રાજપીપળાથી સંતરામપુર જતી બસે એક્ટિવા લઈ આવતા પ્રેમાભાઈ ભગવાનભાઈ તડવી ઉ.વ 26 (રહે. ઓરપા ગામ તા.ગરુડેશ્વર જી.નર્મદા) ની એક્ટિવા ગાડીને અડફેટમાં લેતા પ્રેમાભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં પણ એસટી બસ રોંગ સાઈડમાં આવી છકડાને ટક્કર મારતા આધેડ વ્યક્તિનું મોત થયું હતું. આ જોતાં બેફામ જતી એસટી બસો પર લગામ જરૂરી જણાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.