ડેડીયાપાડામાં ગ્રામ પંચાયતના કર્મચારીએ આપઘાત કરી લીધાં બાદ ભાજપ અને બીટીપી વચ્ચે મામલો બિચકયો છે. બીટીપીના આગેવાનના ડરથી કર્મચારીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થતાં બીટીપીના કાર્યકરોએ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનની બહાર ધરણા શરૂ કરી દીધાં છે. અને આવતીકાલે સોમવારે ડેડીયાપાડા બંધનું બિનસત્તાવાર બંધનું એલાન આપી દેવાયું છે.
તાજેતરમાં દેવમોગરામાં ભાજપ અને બીટીપીના આગેવાનોના પુત્રો વચ્ચે મારામારી થઇ હતી. આ ઘટનાના પડધા શમ્યાં નથી તેવામાં ફરી બંને પક્ષો વચ્ચે રાજકીય ગરમાવો આવી ગયો છે. આ વખતે ડેડીયાપાડા ગ્રામ પંચાયતના કર્મચારીના આપઘાત ને લઇ બંને પક્ષો આમને સામને આવી ગયાં છે. ગ્રામ પંચાયતના કર્મચારી શંકર વસાવાએ આપઘાત કરી લીધો હતો.
મૃતકના પત્ની ગિરજાબેનના જણાવ્યાં મુજબ તેમના પતિ ઉપર તારીખ 23મીના રોજ સરપંચના પતિ દિવાલ શેઠનો ફોન આવ્યો હતો અને તેમના પતિ ઉપર બીટીપીના ઝંડા પોતે ઉતાર્યા હોવાનું સ્વીકારવા દબાણ કરાયું હતું. જો તે આ બાબતનો સ્વીકાર ન કરે તો નોકરીમાંથી છુટો કરવાની ધમકી આપવામાં આવી હતી.
સરપંચ તથા તેના પરિવારના ત્રાસથી તેમના પતિએ આપઘાત કરી લીધો છે. સરપંચ તથા તેમનો પરિવાર બીટીપીના આગેવાન ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવી રહયાં છે. બનાવની જાણ થતાં બીટીપીના આગેવાનો અને કાર્યકરો ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયાં હતાં અને ધરણા શરૂ કરી દીધાં છે. બનાવને પગલે એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડેડીયાપાડા દોડી આવ્યાં છે.
પંચાયત કચેરી પર ઝંડા લગાવાયાં હતાં
ડેડીયાપાડામાં બીટીપીની રેલી વેળા ઝંડા લગાડવામાં આવ્યાં હતાં. તે સમયે પોલીસે ઝંડા ઉતારી લેવા માટે કર્મચારીને કહયું હતું. આ ઝંડા પંચાયતની પરવાનગી વિના લગાડવામાં આવ્યાં હતાં. અમે કોઇ ધમકી આપી નથી પણ મૃતકે બીટીપીના ડરથી આપઘાત કરી લીધો હોય તેવું અમારૂ માનવું છે. > હીતેષ વસાવા, સરપંચના પુત્ર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.