નર્મદાની ડેડીયાપાડા ગ્રામ પંચાયતના કર્મચારીના આપઘાતના મામલે આદિવાસી સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યા બાદ આખરે પોલીસને સરપંચના પતિ તથા પુત્ર વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની ફરજ પડી છે. આરોપી પુત્ર નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપનો સભ્ય પણ છે.
ડેડીયાપાડા ગ્રામ પંચાયતના કર્મચારીએઝેરી દવા પીને આત્મહત્યા કરવાના મામલે મૃતકની પત્નીની ફરિયાદ દાખલ નહી કરાય તો મૃતદેહ નહી સ્વીકારવાની ચીમકી વચ્ચે ગતરોજ મોડી રાત્રે ભાજપના જીલ્લા પંચાયત સદસ્ય હિતેશ વસાવા અને ભાજપના આગેવાન દિવાલ શેઠ સામે ગુનો દાખલ કરવાની પોલીસને ફરજ પડી છે. બીજી તરફ બીટીપીના આગેવાનની આ કેસમાં ખોટી સંડોવણીના વિરોધમાં ડેડીયાપાડાના બજારો બંધ રહયાં હતાં.
ડેડીયાપાડામાં લગાવવામાં આવેલાં બીટીપીના ઝંડાઓ ઉતારી લેવા બાબતે સરપંચના પતિ અને પુત્ર દબાણ કરતાં હોવાથી મૃતકે આપઘાત કર્યો હોવાની ફરિયાદ મૃતકની પત્નીએ નોંધાવી છે. આ મામલામાં પોલીસે અગાઉ બીટીપીના ચૈતર વસાવા સામે મૃતકને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપી હોવાની ફરિયાદ નોંધી હતી. બીટીપીના આગેવાન સામે નોંધાયેલી ફરિયાદ બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. મૃતકની પત્ની સહિતના આદિવાસી સમાજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું.
દેડીયાપાડા પોલીસે આરોપી દિવાલ શેઠ સહિત તેના પુત્ર હિતેશ વસાવા સામે મોડીરાત્રે આઇ. પી સી. ની ધારા 306,506(2) અને 114 મુજબ નો ગુનો દાખલ કરી છે.બીજી તરફ આજે સોમવારે ડેડીયાપાડા બંધનું પણ એલાન આપવામાં આવ્યું હોવાથી બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતાં.બંધના એલાન ને પગલે સમગ્ર નગરમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દિવસ દરમિયાન અજંપા ભરી શાંતિ દેખાતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.