રોકાણકારોને આકર્ષવા માટે ગુરુવારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી આદિત્યનાથ યોગી મુંબઈમાં રોડશો યોજશે. મુંબઈમાં તેઓ મુકેશ અંબાણી, સજ્જન જિંદાલ, જિનલ મહેતા, અજય પિરામલ સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓને મળશે અને ફિલ્મસિટી પ્રોજેક્ટ વિશે ફિલ્મોદ્યોગના દિગ્ગજો સાથે ચર્ચા કરશે.
ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહેલી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023 માટે તેઓ આમંત્રણ પણ આપશે. રોડશો પૂર્વે તેઓ બપોરે હોટેલ તાજમાં ટોચના ઉદ્યોગપતિઓ અને વિવિધ બેન્કના અધિકારીઓને મળશે. યુપીમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ સ્ટાર્ટિંગ બિઝનેસ પર તેઓ માહિતી આપશે. સાંજે તેઓ ફિલ્મઉદ્યોગના નિર્માતાઓ, દિગ્દર્શકો અને કલાકારોને મળીને નોઈડામાં સાકાર થનારા ફિલ્મસિટી પ્રોજેક્ટ વિશે ચર્ચાવિચારણા કરશે.
યોગી સાથે મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓના આઠ મોવડીમંડળે 16 દેશમાં 21 શહેરની મુલાકાત લીધી છે. આ થકી રૂ. 7.12 લાખ કરોડનાં રોકાણના પ્રસ્તાવો પ્રાપ્ત થ. છે. રોડ શો પછી ગુરુવારે મોડી સાંજ સુધી તેઓ વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન મિટિંગ કરશે. આ પછી ફિલ્મોદ્યોગ સાથે મિટિંગ રખાઈ છે, જે માટે બોની કપૂર, કુમાર મંગત પાઠક, સુભાષ ઘાઈ, વિનોદ બચ્ચન, રાહુલ મિત્રા, નારાયણ સિંહ, અનિલ શર્મા, દીપક મુકુટ, મનમોહન શેટ્ટી, પરેશ રાવલ, મનોજ જોશી, સતીશ કૌશિક સહિતના કલાકારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.