શિવસેનાના થાણે જિલ્લા પ્રમુખ કેદાર દિઘે વિરુદ્ધ મુંબઈની દુષ્કર્મ પીડિતાને ધમકાવવા અંગે એન એમ માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યા પછી હવે દિઘેને પૂછપરછ માટે હાજર થવા પોલીસે સમન્સ પાઠવ્યા છે. હાલમાં જ દિઘેના મિત્ર દિલ્હીના બિઝનેસમેન રોહિત કપૂર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેની સામે લૂકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે, જ્યારે આ તપાસમાં જોડાવા હવે દિઘેને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે.
મુંબઈના એન એમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં 23 વર્ષીય મહિલાએ ફરિયાદ દાખલ કરી હતી. પીડિતા ખાનગી કંપનીમાં ક્લબ એમ્બેસિટર તરીકે કામ કરે છે. મુંબઈ આવતા મહેમાનોને ક્લબની મેમ્બરશિપ બાબતે માહિતી આપવાનું કામ કરે છે. દિઘેના મિત્ર કપૂરે પીડિતાને 28 જુલાઈના મુંબઈની એક હોટેલમાં મેમ્બરશિપ લેવાના બહાને ભોજન માટે બોલાવી હતી. એ પછી ક્લબ મેમ્બરશિપના રૂપિયા આપવા માટે રૂમમાં રોકાવા જણાવ્યું. એ પછી રોહિત કપૂરે દુષ્કર્મ કર્યું એવી ફરિયાદ પીડિતાએ કરી હતી.
આ ઘટનાથી ગભરાયેલી પીડિતાએ મોઢું બંધ રાખ્યું હતું, પરંતુ 31 જુલાઈના પીડિતાએ પોતાની આપવીતી પોતાના ત્રણ મિત્રોને જણાવી. પીડિતાએ રોહિત કપૂરને વોટ્સએપ પર આ બાબતે જવાબ પૂછ્યો હતો. એ પછી કપૂરે પીડિતાને બ્લોક કરી હતી. 1 ઓગસ્ટના પીડિતાએ પોતાના મિત્રો મારફત આરોપીને સવાલ કર્યા હતા.
જોકે રોહિત કપૂરે કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. એ પછી આરોપીએ દિઘેને વચ્ચે રાખીને પીડિતાને રૂપિયા આપવાની ઓફર કરીને આ ઘટના બાબતે કોઈને પણ ન જણાવવા કહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.