રાપર તાલુકાના મૂળ સાંય ગામના રહેવાસી અને હાલ નવી મુંબઈના નેરુલ ખાતે રહેતા 65 વર્ષીય બિલ્ડરની ગોળી ધરબી હત્યા કરી દેવાની ઘટનાથી સમગ્ર વાગડ પંથકમાં ખળભળાટ મચ્યો છે. પાટીદાર ઉદ્યોગપતિની આવી રીતે મુંબઈમાં ઘાતકી હત્યા થતાં સમગ્ર દુધઈથી પીપરાળા લેઉવા પાટીદાર સમાજમાં ચકચાર મચી હતી.
આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, રાપરના સાંય ગામના વતની અને મુંબઈ વસ્તા અને ઈમ્પીરિયા ગ્રુપના 65 વર્ષીય માલિક સવજી ગોકર મંજેરીની બુધવારે સાંજે સાડાપાંચથી છ વાગ્યાના અરસામાં બિલ્ડર સવજીભાઇ નેરુલ સેક્ટર 6 અપના બજારની સામે રોડ પર કાર ચલાવી રહ્યો હતો.
આ દરમિયાન એક મોટરબાઈક પર આવેલા બે લોકોએ કારને અટકાવી અને ગોળીબાર કર્યો, જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા સવજીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં આ વિસ્તારના ડીસીપી પાનસરે અને પીઆઈ સાથે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ઘટનાસ્થળે ધસી જઇ જગ્યાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
હાલ આ હત્યાના ઘેરા પ્રત્યાઘાત રાપર પંથકના પટેલ સમાજમાં પડ્યા છે. આ ઘટનામાં ઈમ્પીરિયા ગ્રુપના સવજી મંજેરી સહિત પાંચ ભાગીદારો છે. આ હત્યા જમીનની લેવડદેવડ, મિલકત કે અન્ય છેતરપિંડીભરી નાણાકીય લેવડદેવડને કારણભૂત થઈ હોવાનું અનુમાન પોલીસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક સવજીભાઈ મંજેરી ઇમ્પીરિયા ગ્રુપના માલિક હતા. તેઓ ઉપર થોડાક મહિના અગાઉ મુંબઈ મધ્યે છેડતીનો કેસ નોંધાયો હતો, જે બાબતે રાપરના નરસી સરૈયા (પટેલ) ઉપર મહિના પછી રાપરના જકાત નાકા નજીક હુમલો થયો હતો, જેમાં પણ તેમણે હુમલો કરાવ્યો હોવાનો આરોપ મુકાયો હતો, તો એક માસ પહેલાં જ તેમણે વરસામેડી સીમમાં આવેલી જમીન પોતાના ખોટા દસ્તાવેજ બનાવી વેચી મરાઇ હોવાની ફરિયાદ પણ તેમણે નોંધાવી હતી.
ડીસીપીએ શું કહ્યું?
ડીસી અમિત કાળેએ જણાવ્યું કે નેરુલ સેક્ટર-6 અપનાબજારની સામેથી તેઓ ડ્રાઈવ કરી રહ્યા હતા. કાર મોટરબાઈક પર આવેલા બે જણે રોકી હતી અને ગોળીબાર કર્યો હતો, જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. નોંધનીય છે કે પંદર વર્ષ પૂર્વે વાશી ખાતે દીપક વાલેચા, એન આર કોમ્પ્લેક્સ નિર્માણ કરનારા ડી એસ રાજનની પણ હત્યા કરવામાં આવી હતી. અતુલ અગ્રવાલ પર ગોળીબાર થયો હતો. એસ કે બિલ્ડર્સની હત્યા પ્રકરણમાં તો પોલીસની સંડોવણી બહાર આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.