નેહરુ સાયન્સ સેન્ટર, મુંબઈ, રાજીવ ગાંધી સાયન્સ એન્ડ ટેક્નોલોજી કમિશન (આરજીએસટીસી), કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (એનસીએસટીસી), ડીએસટી સાથે સહયોગમાં ભારતના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023ની ઉજવણી 24 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી એક સપ્તાહ લાંબી ઉજવણી સાથે કરવામાં આવી હતી.
આ વર્ષની ઉજવણીની થીમ “વૈશ્વિક કલ્યાણ માટે વૈશ્વિક વિજ્ઞાન” હતી.ઉજવણીમાં વિવિધ પ્રવૃત્તિઓ, વ્યાખ્યાનો, સ્પર્ધાઓ અને વર્કશોપનો સમાવેશ થતો હતો, જેનો ઉદ્દેશ યુવા ઊભરતા વૈજ્ઞાનિકોને કારકિર્દી તરીકે વિજ્ઞાનને પસંદ કરવા અને સામાન્ય લોકોને તેમના રોજિંદા જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો. ઉજવણીની વિશેષતાઓમાં “મેટર એટ લો પ્રેશર” વિષય પરનું નવું વિજ્ઞાન પ્રદર્શન હતું, જેમાં શૂન્યાવકાશ અને નીચા દબાણ પર આધારિત અનેક પ્રદર્શનો સામેલ હતા. મુક્તપણે ખરતા પદાર્થો પર ગુરુત્વાકર્ષણની અસર પરનો પ્રખ્યાત ગેલિલિયો પ્રયોગ પણ દર્શાવવામાં આવેલા જીવંત પ્રદર્શનોમાંનો એક હતો.
આ ઉજવણીમાં ડૉ. એમ. શશીકુમાર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સી- ડીએસી, મુંબઈ અને તેમની ટીમના સભ્યો દ્વારા વર્ચ્યુઅલ લેબ્સ (ઓનલાઈન લેબ્સ) પ્રદર્શનનો પણ સમાવેશ થતો હતો, જે 9મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે મૂલ્યવાન સંસાધન સાધન સાબિત થયું હતું.વિજ્ઞાન દિવસની ઉજવણી દરમિયાન અન્ય આકર્ષણોમાં સ્લોગન લેખન સ્પર્ધા, લેખિત વિજ્ઞાન ક્વિઝ, સ્ટ્રીટ પ્લે કોન્ટેસ્ટ, પેઈન્ટિંગ હરીફાઈ, નિયમિત વિજ્ઞાન શો (લાઈવ પ્રાયોગિક પ્રદર્શન), સ્કાય ઓબ્ઝર્વેશન, જાયન્ટ બબલ શો, એસ્ટ્રો-વોયેજ ઈવેન્ટ અને મેક એન્ડ ટેકનો સમાવેશ થાય છે.
મુલાકાતીઓ પોતાના વિજ્ઞાન આધારિત રમકડાં બનાવી શકે અને સંભારણું તરીકે ઘરે લઈ જઈ શકે એવી પણ વ્યવસ્થા હતી. પ્રો. બી.એન. જગતાપ, પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, આઈઆઈટી, બોમ્બે દ્વારા સર સી.વી. રમન મેમોરિયલ લેક્ચર સાથે ઉજવણીની પૂર્ણાહુતિ થઈ હતી.
મુલાકાતીઓનો ઉત્સાહપૂર્ણ સહભાગ
અઠવાડિયા સુધી ચાલેલી ઉજવણીમાં મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેનાથી કાર્યક્રમને ભારે સફળતા મળી હતી. સપ્તાહ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રો. જગતાપના હસ્તે ઇનામ વિતરણ સાથે ઉજવણીની પૂર્ણાહુતિ થઈ હતી.
ગ્લોબલ વોર્મિંગ વિશે માહિતી
તેમના પ્રવચનમાં પ્રો. જગતાપે રમન વિશે સમજાવ્યું અને વિદ્યાર્થીઓને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવી ગંભીર સમસ્યાઓ વિશે માહિતગાર કર્યા. તેમણે ભૂખ, ગરીબી, ખોરાક અને ઊર્જા જેવી મૂળભૂત જરૂરિયાતોના ઉકેલો શોધવા માટે ટકાઉ વિકાસ અને ટીમ-વર્કની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રો. જગતાપે પૃથ્વી પરના જીવન માટે સૌથી મોટો ખતરો, જેમ કે આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું સ્તર જેવી સમસ્યાઓના ઉકેલો શોધવાની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.