વાંકાનેરના ધર્મનગર સોસાયટીમાં પંદર દિવસે માત્ર 20 જ મિનિટ માટે પીવાના પાણીનું વિતરણ થતા પ્રજાજનો પરેશાનીથી અકળાઈ ઉઠ્યા હતા અને સમસ્યાનો ઉકેલ લાવવાની માગણી સાથે ટી.ડી.ઓ. ને આવેદનપત્ર પાઠવ્યું હતું. વાંકાનેર તાલુકાના ધર્મનગર ગ્રામ પંચાયતના રહેવાસીઓ લાંબા સમયથી પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાતા હાલાકી ભોગવી રહ્યા છે.
ગ્રામજનોએટી ડી ઓ ને આવેદન પાઠવી સત્વરે પાણીની સમસ્યા દૂર કરવા રજૂઆત કરી હતી.પંચાસર રોડ પાસેની ધર્મનગર સોસાયટીમાં છેલ્લા છ માસથી પાણી વિતરણ ખોરંભાયું છે. પાણી પ્રશ્ને વિસ્તારના રહેવાસીઓ દ્વારા સરપંચને અનેક વખત રજૂવાત કરી હોવા છતાં આ સમસ્યાનું નિવારણ ના આવતા લતાવાસીઓએ આખરે કંટાળી તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન બોરીચાને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
જવાબદારીની ફેંકાફેંકી સામે રોષ
સરપંચે જે તે સમયે એવું જણાવ્યું હતું કે પાણી પુરવઠા વિભાગ તરફથી 24 કલાક આવશે ત્યારે જ પાણી નિયમિત આપી શકાશે. જેથી અસંતુષ્ઠ ગ્રામજનોએ પાણી પુરવઠાના અધિકારીનો સંપર્ક કરતા તેમણે જવાબ આપ્યો કે અહીંયાથી રોજ 6 કલાક પાણી અપાઇ છે. આ પ્રશ્ન ગ્રામ પંચાયતનો છે.
જેથી બે ખાતાવચ્ચેની જવાબદારીની ફેંકાફેંકીમાં લોકોના ભાગે હાલાકી આવી પડી છે. આ અંગે ધર્મનગર પંચાયતના સભ્ય કિરણબેન પંડ્યા, હિતેષભાઇ રાચ્છ, અનિલભાઈ બારોટ, જયશ્રીબેન સેટાલિયા તેમજ નાગરિકોએ ટીડીઓને યોગ્ય કરવા રજૂઆત કરી હતી.
સમસ્યા ક્યાં છે તે જાણી ઉકેલ લવાશે
ધર્મનગરના પ્રજાજનોની સમસ્યા ગંભીર છે. તેમને પાણી નિયમિત મળી રહે તે બાબતે સંપૂર્ણ તપાસ કરી સમસ્યાનું તાત્કાલિક નિકાલ કરવાના પ્રયત્નો કરાશે. > જ્યોતિબેન બોરીચા, તાલુકા વિકાસ અધિકારી, વાંકાનેર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.