વાંકાનેર યાર્ડની ચૂંટણીમા વેપારી અને ખરીદ વેચાણ સંઘ પેનલમા કોંગ્રેસનું પુનરાવર્તન, ખેડૂત પેનલનું પરિણામ હાલ જાહેર થયુ નથી કારણ કે ૩૧ મતો હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ બંધ કવરમાં હોય જે હવે પછી જાહેર કરવામાં આવશે. વેપારી પેનલના તમામ ચાર તથા ખરીદ વેચાણ સંઘની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ છે .
વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું હતું. વાંકાનેર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપના મોટા કદના નેતાઓએ વાંકાનેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ધામાં નાખ્યા હતા અને મતદારોને રીઝવવા અલગ અલગ તરકીબો અજમાવી હતી. સાંસદ મોહનભાઈ કુંડારિયા, જયેશભાઈ રાદડિયા , મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, પ્રદેશ કક્ષાના અગ્રણી શૈલેષભાઇ ઠક્કર, જિલ્લા ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા તેમજ સ્થાનિક અગ્રણીઓએ એક એક મતદાર સુધી પહોંચી પ્રચાર પ્રસાર કર્યા હતા.
જેના ભાગરૂપે ખેડૂત પેનલના દસ ઉમેદવારની મત ગણતરી દરમ્યાન સંઘર્ષ સાથે ભાજપ કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે રસાકસી જામી હતી એક સમયે ભાજપના અગ્રણીઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે યાર્ડમાં પરિવર્તન થશે જ પરંતુ જેમ જેમ મત ગણતરી આગળ વધી તેમ ભાજપના ઉમેદવારને પાછળ રાખી કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલને જીત મેળવવામાં સફળતા મળી હતી. અને ફરી એકવાર ભાજપ સત્તાથી દુર રહી છે.
બુધવારે થયેલી મતગણનામા મુજબ વેપારી પેનલના તમામ ચાર તથા ખરીદ વેચાણ સંઘની એક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે ખેડૂત વિભાગની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ૩૧ મતો હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ બંધ કવરમાં હોય જે હવે પછી જાહેર કરવામાં આવશે. હાલ આ મતોને બાદ કરતા જે પરિણામ આવેલું છે તેમાં 8 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર ભાજપના ઉમેદવારની સરસાઇ હોવાનું જાણવા મળ્યુ છે.
ગત ટર્મમાં ખેડૂત પેનલની 8 બેઠક હતી આ ટર્મમાં 10 થઇ
ગત ટર્મમાં વેપારી પેનલના ચાર બેઠક માટે ચાર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા જેમાંથી તમામ ચારેય બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી તથા સંઘ પ્રોસેસિંગની એક બેઠકમાં પણ કોંગ્રેસના ઉમેદવાર ની જીત થઈ હતી તેમજ ખેડૂત પેનલના ગત વખતે ૮ બેઠક હતી જે આં વખતે ૧૦ કરવામાં આવી છે ત્યારે આઠેય બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી એટલે કે યાર્ડની તમામ સતા કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના હાથમાં રહી હતી.
.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.