વાંકાનેર પંથક ખનીજ ચોરી માટે બદનામ થઈ ચૂક્યો છે જેમાં સરકારી તંત્ર થી લઇ રાજકીય નેતાઓની મીઠી નજર હેઠળ રોજનો સરકારને લાખો રૂપિયાની રોયલ્ટી ની નુકસાની વેઠવી પડે છે પરંતુ કોનાં બાપની દિવાળી જેવી સ્થિતિ સર્જાઇ છે. ખનીજ માફીયાઓ માટે વાંકાનેર પંથક સ્વર્ગ સમાન ગણાય છે અહીંયા ટકે શેર ભાજી ટકે શેર ખાજા જેવી હાલત થઈ ગઈ છે.
ખનીજ અધિકારીઓ ઈચ્છે તો પણ ખનીજ માફીયાઓ બેફામ ખનીજચોરી કરી રહ્યા છે તેથી પંથકમાં ખનીજ ચોરી ચાલતી હોવાની વાત સરાજાહેર હોય ત્યારે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે સંપૂર્ણ ગેરકાયદેસર ચાલતી ખનીજચોરી ઝડપાઈ છે જેમાં વસુંધરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ધમધમતી બેલાની ખાણને ઝડપી પાડી ખનીજચોર વિરૂદ્ધ રૂ. 11 લાખથી વધુની લાઇમ સ્ટોનની ખનીજ ચોરી અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
વસુંધરા ગામે સંપૂર્ણ ગેરકાયદેસર ચાલતી ખનીજચોરી ઝડપાઈ
મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપર વાઇઝર મિતેશભાઈ રામભાઈ ગોજીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં અજાણ્યા ખનીજચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ચાલતી બેલાની ખાણમાંથી ખનીજ ચોરો દ્વારા 2188.2 મેટ્રિક ટન લાઇમસ્ટોન ખનીજ જેની કિંમત અંદાજે રૂ 11,02,763 હોય તેની કોઈ અજાણ્યા શખ્સો ખનીજ ચોરી કરતા હતા જેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા આ ગેરકાયદેસર ખાણ પર દરોડો પાડી પાંચ ઇલેક્ટ્રિક મોટર તેમજ પથ્થર કાપવાની છ ચકરડીઓ કબ્જે લઈ અજાણ્યા ખનીજચોરો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ કરાઇ, છતાં ખનીજમાફિયા વિરુદ્ધ કાર્યવાહી નહોતી કરી
ખનીજ વિભાગ મા કડક અધિકારીની છાપ ધરાવતા વાઢેરની થોડા સમય પહેલા જ મોરબી ભૂસ્તરશાસ્ત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી જોકે ખનીજ ચોરોએ પહેલાની જેમ જ કોઇ પણ ખૌફ વગર તેની કામગીરી બેરોકટોક યથાવત ચાલુ રાખી છે. હદ તો ત્યારે થઈ કે તાલુકાના મહિકા ગામે ખનીજ માફીયાઓ વિરુદ્ધ ખનીજ વિભાગમા ગ્રામ પંચાયતના લેટર પેડ પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં મામલતદાર , પ્રાંત અધિકારી , તાલુકા પોલીસ સહિતના સરકારી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી છતાં ખનીજ માફીયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.