રાજકોટ-મોરબી હાઈવે કાંઠે રતનપર ગામ નજીક આવેલ ચંદ્ર મૌલિશ્ર્વર મહાદેવ મંદિરમા અખંડ ચંદ્ર સ્ફટીકના શિવલિંગની સ્થાપના દ્વારકા પીઠના પિઠાધિશ્ર્વર જગદગુરૂ શંકરાચાર્યજીએ લગભગ અઢી દાયકા પૂર્વે કરી હતી. રાજકોટ મોરબી હાઈવે પર હાઈવે કાંઠે જ રતનપર ગામ પાસે ચંદ્ર મૌલિશ્ર્વર મહાદેવ મંદિર આવેલુ છે. મંદિરના નિર્માણ માટે દ્વારકા શક્તિપીઠના પિઠાધિશ્વર અને ધર્મ ધુરંધર જગદગુરૂ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ આ જગ્યા પર શિવાલય નિર્માણ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા ક્ષત્રિય પરીવારે જમીન ફાળવી હતી.
મંદિર રાજવી પરિવારના ટંકારા નજીકના ધ્રુવનગર સ્ટેટ ધ્રુવકુમારસિંહ જાડેજાના યોગદાનથી નિર્માણ પામ્યા બાદ ખાસ અખંડ ચંદ્ર સ્ફટિકની શિવલીંગ ધાર્મિક વિધી કરી શંકરાચાર્યજીએ પ્રસ્થાપિત કરી હતી. હાલ નમૂનેદાર સુંદર અને નયનરમ્ય કલાત્મક મંદિર બનાવાયુ છે. જે શિવ ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે. જાણવા મળ્યા પ્રમાણે સ્ફટિક સુર્ય અને ચંદ્ર એમ બે પ્રકારના હોય છે.
ચંદ્ર સ્ફટિક શિતળ હોય છે. એમા, આછા ગુલાબી રંગ નો આભાસ થાય છે. જેથી આ મંદિરનું નામ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર રખાયુ હોવાનુ કહેવાય છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન હોમાત્મક રૂદ્રાભિષેક યજ્ઞ કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત, પરપ્રાંતમાથી શિવ ભક્તો અહીં માથુ ટેકવી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. અહિંયા રાજકોટ શહેર નજીક હોવાથી ભાવિકો સાંજની આરતીનો લાભ લેવા ખાસ આવી ધન્યતા અનુભવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.