મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિતના 10 આરોપીની ધરપકડ કરાઈ છે. ગત માસથી જેલમાં બંધ જયસુખ પટેલે કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જે અરજી મામલે આજે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં આજે કોર્ટે હુકમ સંભળાવતા વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે કોર્ટ સમક્ષ સરન્ડર કર્યા બાદ પોલીસે કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા હતા અને બાદમાં જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ગત માસથી જેલમાં બંધ જયસુખ પટેલે મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી.
જે અરજી મામલે ગત તા. 04 માર્ચે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં બચાવ પક્ષ અને સરકારી વકીલે સામસામી ધારદાર દલીલો રજુ કરી હતી. બચાવ પક્ષે બેન્કના કામ અને હાઈકોર્ટના પીડિતોને સહાય ચૂકવવાના આદેશનો હવાલો આપી વચગાળાના જામીન આપવા દલીલો રજુ કરી હતી. જ્યારે સરકારી વકીલે સામે દલીલો રજુ કરી હતી કે જયસુખ પટેલ ત્રણ માસથી ભાગતા ફરતા હતા. તેમજ એક માસથી જેલમાં બંધ છે છતાં કંપનીનો વહીવટ ચાલે છે એટલે જયસુખ પટેલનું બહાર આવવું જરૂરી નથી. આમ બંને પક્ષે પોતપોતાની દલીલો રજુ કરી હતી. જે બંને પક્ષની દલીલો કોર્ટે સાંભળી હતી અને હુકમ સંભળાવવા માટે તા. 07 માર્ચ મુકરર આવી હતી.
જેમાં આજે મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે જયસુખ પટેલની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે. જેથી જયસુખ પટેલને કોઈ રાહત મળી નથી અને હાલ તેઓને જેલમાં જ રહેવું પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.