મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના:જયસુખ પટેલના વચગાળાના જામીન મામલે બંને પક્ષે દલીલો રજુ કરી; કોર્ટ તા. 7 માર્ચના રોજ હુકમ સંભળાવશે

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિતના 10 આરોપીઓની ધરપકડ કરેલી છે. ગત માસથી જેલમાં બંધ જયસુખ પટેલે કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જે અરજી મામલે આજે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી અને કોર્ટ તા. 7 માર્ચના રોજ હુકમ સંભળાવશે.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના બાદ અંદાજે 3 માસ જેટલો સમય ફરાર રહ્યા બાદ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે કોર્ટ સમક્ષ સરન્ડર કર્યું હતું. જેથી કોર્ટના આદેશથી જેલમાં મોકલ્યા બાદ તપાસ ચલાવતા અધિકારીની અરજીને પગલે આરોપીનો કબજો પોલીસને સોંપ્યો હતો. રિમાન્ડ મેળવ્યા બાદ ફરી જયસુખ પટેલને જેલહવાલે કરવામાં આવ્યા હતો. ગત માસથી જેલમાં બંધ જયસુખ પટેલે મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી.

જે અરજી મામલે આજે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં બચાવ પક્ષ અને સરકારી વકીલે સામસામી ધારદાર દલીલો રજુ કરી હતી. બચાવ પક્ષે બેંકના કામ અને હાઈકોર્ટના પીડિતોને સહાય ચૂકવવાના આદેશનો હવાલો આપી વચગાળાના જામીન આપવા દલીલો રજુ કરી હતી. જ્યારે સરકારી વકીલે સામે દલીલો રજુ કરી હતી કે, જયસુખ પટેલ ત્રણ માસથી ભાગતા ફરતા હતા. તેમજ એક માસથી જેલમાં બંધ છે, છતાં કંપનીનો વહીવટ ચાલે છે એટલે જયસુખ પટેલનું બહાર આવવું જરૂરી નથી. આમ બંને પક્ષે પોતપોતાની દલીલો રજુ કરી હતી. જેને કોર્ટે સાંભળી હતી અને હવે વચગાળાના જામીન અરજી અંગે તા. 7 માર્ચના રોજ કોર્ટ દ્વારા હુકમ સંભળાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...