શહેરોની સાથે ગામડાઓનો પણ વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગામડાઓમાં રસ્તાઓ, શાળા, પાણી વગેરે જેવી અદ્યતન સુવિધાઓ ઉભી કરવા માટે માદરે વતન, સી.એસ.આર. સહિતના અભિગમ હેઠળ સ્થાનિક સંસ્થાઓ, એન.જી.ઓ., ટ્રસ્ટ, ઉદ્યોગો વગેરેનો પણ સહયોગ લઈને ગામડાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
સરકાર અને ટ્રસ્ટની સંયુક્ત કામગીરીનું એક આગવું ઉદાહરણ છે મોરબી જિલ્લાના નેકનામ ગામનું વોટર એ.ટી.એમ. મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલું નેકનામ ગામ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલું છે.
અંદાજીત 4 હજારથી વધુની વસ્તી ધરાવતા નેકનામ ગામમાં આજથી લગભગ 8 વર્ષ પહેલા ગ્રામ પંચાયતના પ્રયાસોથી ગામના અગ્રણી દ્વારા ગ્રામ પંચાયતને આ વોટર એ.ટી.એમ. અર્પણ કરવામાં આવ્યું. ત્યારથી આજ સુધી ગ્રામ પંચાયત દ્વારા અવિરતપણે આ વોટર એ.ટી.એમ.નું યોગ્ય સંચાલન કરવામાં આવી રહ્યું છે અને ગ્રામજનો આ સુવિધાનો ખૂબ સારી રીતે લાભ મેળવી રહ્યા છે.
નિ:શુલ્ક ન હોઇ લોકોને પાણીની કિંમત સમજાય છે
ગ્રામ પંચાયતને ગામને દ્વારા આ ફિલ્ટર અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી ગ્રામ પંચાયત દ્વારા તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ગામના લોકોને નજીવા દરે આ વોટર એ.ટી.એમ.ની મદદથી નિયમિત રીતે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે રૂપિયા આ વોટર એ.ટી.એમ.માં એકત્ર થાય છે તેનો વોટર એ.ટી.એમ.ના મેન્ટેનન્સમાં ઉપયોગ કરવામાં આવે છે તેમ ગામના સરપંચ કનકસિંહ ઝાલાએ જણાવ્યું હતું.
સવલત અત્યંત ઉપયોગી, અન્યોએ અનુસરવી જોઇએ
આ ફિલ્ટર પાણી દિવસ-રાત જ્યારે જોઇએ ત્યારે મળી જાય છે. લોકોને પીવા માટે ચોખ્ખું પાણી મળતું હોવાથી પાણીજન્ય રોગો પણ અમારા ગામમાં નહિવત છે. તેમ વોટર એ.ટી.એમ.ને ઉપયોગી ગણાવી નેકનામ ગામના દિકરી માધવીબેન જણાવે છે કે અન્યોએ આ સવલત પોતાના ગામમાં વિકસાવવી જોઇએ. આઠ લિટર પાણી માટે એક રૂપિયો ચુકવવો પડતો હોવાથી લોકોને પાણીની કિંમત પણ સમજાય છે અને તેનો બગાડ અટકે છે.
કઇ રીતે થાય છે શુદ્ધિકરણ પ્રક્રિયા
ગ્રામ પંચાયત દ્વારા પાઈપલાઈનની મદદથી નર્મદાનું પાણી એક કુવામાં ઠાલવવામાં આવે છે. આ કુવાનું પાણી વોટર ફિલ્ટર સુધી લાવવામાં આવે છે જ્યાં આ પાણીને સંપૂર્ણ રીતે ફિલ્ટર કરવામાં આવે છે. આ ફિલ્ટર દર કલાકે 800 થી 1000 હજાર લીટર પાણી ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યાંથી આ પાણી વોટર એ.ટી.એમ. સિસ્ટમમાં આવે છે. ત્યારબાદ ગ્રામજનો 1 રૂપિયો નાખી સરળતાથી પાણી મેળવી શકે છે. વોટર એ.ટી.એમ. થકી લોકોને નજીવા દરે ચોખ્ખું પાણી નિયમિત પણે મળી રહે છે.
પાણી સાવ મફતમાં ન મળતું હોવાથી લોકો પાણીની કિંમત સમજે છે અને ચોખ્ખું પાણી મળતું હોવાથી પાણીજન્ય રોગ થવાની પણ સંભાવનાઓ નહિવત થઈ જાય છે. ગ્રામજનોની સુવિધામાં વધારો કરતી આ માળખાગત સવલત પરથી અન્ય ગામોએ પણ તેને મોડલ બનાવી અપનાવવી જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.