મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલની કોર્ટ સમક્ષ હાજર થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં જયસુખ પટેલ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પૂરક ચાર્જશીટ રજૂ થયા બાદ આજે મુદત હોવાથી જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયો હતો. કોર્ટે આ અંગે આગામી 31 માર્ચની મુદત આપી છે જેથી કેસ અંગેની વધુ સુનાવણી 31 માર્ચના રોજ કરવામાં આવશે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા બાદ પોલીસે તુરંત ઓરેવા ગ્રુપના મેનેજર સહિત 9 આરોપીઓને ઝડપી લીધા હતા. ત્રણ મહિના સુધી ફરાર રહેલા ઓરેવા ગ્રુપના એમ.ડી.એ પણ આખરે કોર્ટની શરણે ગયા હતા. ત્યારબાદ જયસુખ પટેલની વિધિવત ધરપકડ કરી પોલીસે રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી. બાદમાં જયસુખ પટેલને સબ જેલમાં મોકલવામાં આવ્યો હતો. એક મહિના જેટલો સમય જેલમાં રહ્યા બાદ જયસુખ પટેલે વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી હતી અને જયસુખ પટેલને કોઈ રાહત મળી નહોતી.
આ અંગે તપાસ અધિકારીએ આરોપી જયસુખ પટેલ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી. જેથી પૂરક ચાર્જશીટ રજૂ થયા બાદ કોર્ટે 17 માર્ચની મુદત આપી હતી. મોરબી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જયસુખ પટેલ આજે હાજર હતો અને કોર્ટે આગામી 31 માર્ચની મુદત આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.