ટંકારાના જુના હડમતીયા રોડ પર આવેલી જમીન મુદ્દે ત્રણ કૌટુંબિક ભાઈઓએ આધેડને હવે આ જમીનમાં પગ મૂક્યો તો મારી નાખીશું તેમ કહીને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે બનાવ મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ફરિયાદી મહેન્દ્ર દુબરીયાએ તેમના કૌટુંબિક ભાઈઓ શશીકાંત દુબરીયા, હિતેશ દુબરીયા અને વાસુદેવ દુબરીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, મહેન્દ્રના પિતાના નામે જુના હડમતીયા રોડ પર આસુન્દ્રી નદીના કાઠે સર્વે નંબર-259ની આશરે સાતેક વીધા જેટલી જમીન આવેલી છે.
તારીખ 8 જાન્યુઆરીના રોજ તેઓ તેમની જમીનમાં માપણી કરવા ગયા હતા. જરીફ તેમની જમીન માપીને ખુટા પાડીને જતા રહ્યાં હતા. જે બાદ મહેન્દ્ર વાડીએ હતા એ દરમિયાન આરોપી શશીકાંત, હિતેશ અને વાસુદેવ એમ ત્રણેયથી આવ્યા હતા અને કહ્યું હતું કે, તું આ જમીનમાં કેમ આવ્યો તેના પ્રત્યુતર સ્વરૂપે મહેન્દ્ર એ કહ્યું હતું કે, આ જમીન મારા બાપુજીના નામે છે અને આ જમીન અમારી છે. તેમ કહેતા ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને મહેન્દ્ર ભાઈને અપશબ્દો બોલ્યા હતા.
જેથી મહેન્દ્ર એ ગાળો આપવાની ના પાડતા આરોપી હિતેશ અને વાસુદેવ તેની સાથે જપાજપી કરવા લાગ્યા હતા. થોડીવાર બાદ શશીકાંત લાકડાનો ધોકો લઈને આવ્યો હતો અને એક ઘા મહેન્દ્રના માથામાં મારતા તેના માથા પરથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્રણેય ઈસમો ત્યાંથી નાસી ગયા હતા અને જતા જતા આ જમીનમાં પગ મુક્યો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. ટંકારા પોલીસે ત્રણેય વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.