ભિલોડા તાલુકાના ચુના ખાણમાં રાત્રી સમયે સુતેલી મહિલાને તેના પતિના પ્રથમ પત્નીના પુત્રએ જૂની અદાવત રાખીને છાતીમાં તીર મારતા મહિલાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભિલોડાના ચુના ખાણમાં રહેતા જયાબેન ભગોરાએ કણાદરના પુનાજી મંગાજી ભગોરા સાથે બીજા લગ્ન કર્યા છે.
આ મહિલા રાત્રી સમયે ઘરની ઓસરીમાં સૂઇ રહી હતી તે દરમિયાન તેના પતિના પ્રથમ પત્નીનો પુત્ર અલ્પેશ ભગોરા જૂની અદાવત રાખીને એના પિતાએ જયાબેન સાથે બીજા લગ્ન કરેલા હોય તેની અદાવત રાખીને હાથમાં તીરકામઠું લઈને રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે ધસી આવ્યો હતો અને મહિલા ભરનિંદરમાં સુઈ રહી હતી તે દરમિયાન તેની છાતીના ભાગે તીર મારી ભાગી છૂટ્યો હતો.
ઘટનાના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા જ્યાં લોહીલુહાણ થયેલી મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અંગે જયાબેન પુનાજી મંગાજી ભગોરાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અલ્પેશકુમાર પુનાજી ભગોરા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.